
એકવાર દૂરદર્શન પર સિમિ ગરેવાલ કૃત ‘લિવિંગ લીજેન્ડ’માં રાજ કપૂરને નરગિસ સંબંધી સીધો પ્રશ્ન પુછાયો હતો, ત્યારે રાજ કપૂરે કહ્યું હતું કે, ‘મારી અભિનેત્રીઓ મારી પત્નીઓ નથી ને મારી પત્ની મારી અભિનેત્રી નથી.’
રાજ કપૂરનો આ જવાબ પોલિટિકલ અને ફિલ્મના એક સંવાદ જેવો હતો. રાજ અને નરગિસ એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં એ સૌ કોઈએ જોેયેલું છે.
નીલી નીલી આંખોવાળો રાજ અને ‘લેડી ઇન વ્હાઇટ’ તરીકે ઓળખાતી નરગિસનો રોમાન્સ નેપથ્ય ઉપર જ નહીં, પણ પરદાની પાછળ પણ જબરો પાંગર્યો હતો. તેમનો પ્રણય એક પરીકથા જેવો જ રહ્યો હતો એવું નહોતું. પણ પરસ્પરને પામી ના શકવાની અનેક વ્યથાઓ અને પળોજણોનો પણ સામનો કરવો પડયો હતો. વર્ષો પહેલાં રાજ અને નરગિસની પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ તે પણ જાણવા જેવું છે.
માત્ર એકવીસ વર્ષની ઉંમરે રાજ કપૂરે જ્યારે ‘આગ’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ત્યારે તે કોઈ કુશળ અભિનેત્રીની શોધમાં હતો. એ વખતે એણે મહેબૂબ ખાનની એક ફિલ્મમાં રોલ ભજવનાર એક યુવાન છોકરીની બાબતમાં થોડુંક સાંભળ્યું હતું અને તે છોકરીને ‘આગ’માં લેવા માગતો હતો, પરંતુ નરગિસની મા જદ્દનબાઈ આડેધડ પોતાની છોકરીને કોઈનીયે ફિલ્મમાં કામ કરવા મોકલવા તૈયાર નહોતી.
જદ્દનબાઈને મનાવવા માટે રાજ કપૂરને એના ઘેર સારા એવા આંટા મારવા પડયા હતા. છેવટે જદ્દનબાઈ માન્યાં. નરગિસને ‘આગ’ માટે કરારબદ્ધ કરવામાં આવી. જ્યારે આ ચિત્ર માટે અગાઉ વિચારવામાં આવેલ નિગાર સુલતાના અને કામિની કૌશલને છેવટે પડતાં મૂકવામાં આવ્યાં.
પછી તો ‘આગ’નું નિર્માણ થયું અને રાજ-નરગિસની પ્રણયગાથા પણ ‘આગ’ના સેટ પર આરંભાઈ. ફિલ્મની સાથે સાથે તેઓ બંને એકબીજામાં ખોવાયેલાં રહેતાં.
‘આગ’ના નિર્માણ દરમિયાન નરગિસે એની એક સખી નીલમને કહ્યું હતું કે ‘એ મારી કરીબ સરકી રહ્યો હોય એમ લાગે છે.’
‘આગ’ ફિલ્મ રજૂ થઈ અને એક વાવાઝોડાની જેમ પ્રેક્ષકો પર છવાઈ ગઈ. કહેવાય છે કે જદ્દનબાઈને રાજ-નરગિસના પ્રેમની ખબર પડી હોત તો બેયનું આવી જ બનત, પરંતુ ૨૧મી જુલાઈ, ૧૯૪૯ના રોજ જદ્દનબાઈનું અવસાન થયું ને ૧૯૫૦ની સાલમાં તો નરગિસ એની સહેલીઓ સમક્ષ કબૂલતી થઈ ગઈ કે મને એના વગર નથી ચાલતું.
પછી તો રાજ અને નરગિસના સંબંધો વધુ પ્રગાઢ બન્યા. તળાવમાં વહેલી પરોઢે ખીલેલા પોયણા જેવી નરગિસ ભોળા ભોળા જેવા લાગતા રાજ સાથે વીંટળાઈ ચૂકી હતી. તેમનો રોમાન્સ હવે છૂપો પણ રહ્યો ન હતો. શરૂ શરૂમાં તો નરગિસના પરિવારે તે બધું અટકાવવા નિષ્ફળ પ્રયાસ પણ કરી જોેયો, પણ નરગિસ કોઈનું સાંભળે તેમ નહોતી. સેટ પર સૌ કોઈ નરગિસને વહાલથી બેબી કહેતા, જ્યારે રાજ એને ‘બેબ્સ’ કહેતો..
નરગિસ રાજ કપૂરને ‘રાજુ’ કહીને જ બોલાવતી. નરગિસને રાજ એટલો બધો ગમતો કે તે હંમેશા રાજની જ વાતો કર્યા કરતી. એની બુદ્ધિથી માંડીને બીજી તમામ ખાસિયતોની એ પ્રશંસા કર્યા કરતી.
રાજને પણ નરગિસ ગમતી, કારણ કે તેની દેહલતા સુકોમળ અને સુંદર હતી, એટલું જ નહીં, પણ તેનું સૌંદર્ય, તાજા જ ખીલેલા ફૂલ જેવું પ્રાકૃતિક અને સહજ હતું અને તેથી જ નરગિસ બીજી અભિનેત્રીઓ કરતાં જુદી જ તરી આવતી હતી. નરગિસનો ચહેરો ખુદ એક અભિનય હતો, સરળ હતો, કુદરતી હતો. એ અભિનય કરે છે એવું કદીયે લાગતું નહીં. એની આંખોમાં હંમેશાં લાગણીઓનો મહાસાગર ઊભરાતો. ‘આગ’, ‘બરસાત’ અને ‘આવારા’માં તે રાજ કપૂર સાથે અભિનય કરે છે એવું કોઈને લાગતું નથી.. નરગિસની એ એક્ટિંગ નહોતી, પણ રાજ એને ખૂબ જ ગમતો ને એક્ટિંગ વખતે પણ સાચુકલો પ્રેમ નરગિસની આંખોમાં તરી આવતો.
એ જ રીતે નરગિસ પણ રાજ કપૂર માટે માત્ર અભિનેત્રી જ ના રહેતાં એના ઉત્કૃષ્ટ સર્જનો માટેનો પ્રેરણાસ્ત્રોેત બની ગઈ હતી. ‘જાગતે રહો’ના નિર્માણ સુધીમાં તો તેમનો પ્રણય પરાકાષ્ઠાએ પહોંચી ગયો.
હવે તો તેઓ સાથે જ ફરતાં, સાથે જ જમતાં, ફિલ્મના લોકેશન્સ શોધવા માટે સાથે જ પ્રવાસ કરતાં.
રાજ અને નરગિસ સાથે મળીને તેના ‘કોટેજ’ ખાતે પાર્ટીમાં મહેમાનોને નોતરતાં
રાજ કપૂર અને નરગિસ જ્યારે રશિયા ગયાં ત્યારે રશિયામાં તો લોકોએ તેમને પતિ-પત્ની જ માની લીધેલાં.
રાજ કપૂર ઇચ્છતો હતો કે નરગિસે ફક્ત આર. કે.ના બેનર હેઠળ જ કામ કરવું જોેઈએ અને નરગિસ તો રાજને ભરપૂર ચાહતી હતી. એ એની ઇચ્છા પ્રમાણે જ કરતી હતી. રાજને નરગિસની વફાદારીમાં જબરદસ્ત વિશ્વાસ હતો. જ્યારે નરગિસ માટે રાજ કપૂર એ જ એનું આખું વિશ્વ હતું. શ્વેત એ રાજ કપૂરનો પ્રિય રંગ હતો તેથી નરગિસ એને ખુશ રાખવા હંમેશા સફેદ વસ્ત્રો જ ધારણ કરતી. તેથી બધા એને ‘લેડી ઇન વ્હાઇટ’ કહેતા.
રાજ અને નરગિસ એકવાર સાથે અમેરિકા ગયાં હતાં. નરગિસ અમેરિકાથી એની સખીને ફોન કરી હસ્યા કરતી. રાજ અને નરગિસમાં એક ફરક હતો. નરગિસ એની લાગણીઓને કદીયે છુપાવતી નહીં. એ રાજ તરફની પોતાની ચાહત ખુલ્લી અને જાહેર રાખતી.
રાજને એ જાહેરમાં વીંટળાઈ વળતાં પણ શરમાતી નહીં, જ્યારે રાજ કપૂર નરગિસ પ્રત્યેની લાગણીઓ જાહેરમાં પ્રદર્શિત કરતો નહોતો. નરગિસ હંમેશા મુશ્કુુરાતી રહેતી જ્યારે રાજ કપૂર જિંદગીની ઘણીબધી બાબતોમાં ગંભીર રહેતો. છતાંયે બંને વચ્ચે ઘણી એકસમાન વાતો હતી જે બંનેને સાથે રાખતી. જેમ કે બંનેને ચાઈનીઝ ફૂડ ખૂબ ગમતો. કોઈવાર રાજ એના કોટેજમાં સારું જમવાનું મંગાવી નરગિસને બોલાવી લેતો તો કોઈવાર નરગિસ, રાજ માટે ડબામાં ખાવાનું લઈ જતી.
રાજ અને નરગિસના સંબંધોના અદેખાઓએ એવું પણ કહ્યું કે , ‘રાજ કપૂરે નરગિસનું શોષણ કર્યું હતું’, પણ નરગિસ એવું વિચારતી નહોતી. રાજ કપૂર માટેનાં પ્રેમ અને નિષ્ઠા એ સ્વૈચ્છિક હતાં. નરગિસ તો રાજ કપૂર માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હતી,
સાચી વાત તો એ છે કે નરગિસ રાજ કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. તે આજીવન રાજની જ થઈને રહેવા માગતી હતી. તે પોતાની ઇચ્છા અંગત સહેલી સમક્ષ અભિવ્યક્ત પણ કરી ચૂકી હતી.
‘લેકિન મૈં ક્યા કરું?’ કહીને નરગિસ નિઃસાસો પણ નાખતી.
કારણ એ શક્ય નહોતું. રાજ કપૂર અગાઉથી જ કૃષ્ણા સાથે પરણેલો હતો. તેમના સંબંધોને કાયદેસરનું સ્વરૂપ અપાય તે માટે રાજ કપૂરે ઘણા વિચારો કરેલા, પણ તે શક્ય નહોતું. રાજ કપૂર પત્ની કૃષ્ણા અને બાળકોને છોડવા માગતો નહોતો.
રોજ સાંજે કે મોડી રાતે શૂટિંગ પતાવીને છૂટાં પડી રાજ કૃષ્ણા પાસે જતો અને નરગિસ એકલી ઘેર જતી.
કૃષ્ણા રાજ અને નરગિસના સંબંધોથી નારાજ થઈને એકવાર પિયર ચાલી ગઈ હતી, પરંતુ સસરા પૃથ્વીરાજ કપૂર એને મનાવીને પાછી લઈ આવ્યા હતા. પરંતુ કૃષ્ણાનો એક ખાનદાની ગુણ હતો પતિ રાજ તરફની નારાજગી એણે જાહેરમાં કદીયે વ્યક્ત કરી નહોતી. આૃર્યની વાત તો એ છે કે કોઈ જાહેર ફંક્શનમાં નરગિસ અને કૃષ્ણા મળી જતાં તો બંને એકબીજા પ્રત્યે ઘૃણા રાખવાને બદલે સખીઓ હોય એમ જ વાત કરી લેતાં. ઘણા લોકો આનેય દંભ કહેતા. પણ કૃષ્ણા કદીયે નરગિસ માટે ગુસ્સો દાખવતી નહીં અને એ જ રીતે નરગિસ પણ કૃષ્ણા પ્રત્યે નમ્ર રહેતી.
અને એમ પૂરા એક દાયકા સુધી રાજ-નરગિસ ગૌરવપૂર્ણ પ્રણયમાં ગૂંથાયેલાં રહ્યાં.
દેવેન્દ્ર પટેલ