
આસિફખાનને પોલીસે પકડયો. થર્ડ ડિગ્રીના અમલ સાથે જ એણે કહ્યુંઃ ‘હા, મેં જ મહેતાબની હત્યા કરી લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી છે.’
કેમ?
વાત કાંઈક આમ હતી. આસિફખાનનો એક ભત્રીજોે મહેતાબની બહેન મુમતાઝને લઈને ભાગી ગયો હતો. તેનો બદલો લેવા મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ આસિફખાનને ફટકાર્યો હતો.આસિફખાનને આ ઘટના અપમાનજનક લાગી હતી. એણે બદલો લેવા નિર્ણય કરી લીધો હતો.
એક દિવસની વાત છે. આસિફખાન સાંજના સમયે ખજૂરી ખાસથી પોતાની કાર દ્વારા ઘેર આવી રહ્યો હતો. એણે વજિરાબાદ પુલ પાસે યમુના ઘાટ પર એક મહિલાને બેઠેલી જોેઈ. ૨૮-૩૦ વર્ષની એ મહિલા એકદમ ખૂબસૂરત હતી પણ એકલી જ બેઠેલી હતી. એને જોેઈ આસિફખાન અટકી ગયો. કારને સડકની બાજુમાં ઊભી રાખી ને તે ઊભો રહી વિચારવા લાગ્યો કે, આટલી સ્વરૂપવાન મહિલા નદીના ઘાટ પર એકલી શા માટે બેઠી હશે ?
કેટલીક વાર પછી તે એ મહિલા પાસે ગયો. એને જોેયા બાદ મહિલા ગભરાઈ તો નહીં, પરંતુ પાણી તરફ જોેવા લાગી. આસિફે તેને પૂછયુંઃ ‘મેડમ! ઘણીવારથી જોેઈ રહ્યો છું કે, તમે આવી સૂમસામ જગાએ એકલા કેમ બેઠા છો?’
એ મહિલા બોલીઃ ‘હું બહુ જ દુઃખી છું. આ દુનિયાથી કંટાળી ગઈ છું. તેથી આત્મહત્યા કરવા આવી છું.’
આસિફખાને તેને સાંત્વના આપતાં કહ્યુંઃ ‘મેડમ! આત્મહત્યા કરવાથી કોઈ પ્રશ્ન હલ થતો નથી. તમને કોઈ સમસ્યા હોય તો મને કહો, શાયદ હું તમને કાંઈ મદદ કરી શકું.’
આસિફના આ વિધાનના પ્રત્યુત્તરમાં તે મહિલા બોલીઃ ‘મારું નામ પરવીન છે. ત્રણ મહિના પહેલાં મારા પતિનું મૃત્યુ થઈ ગયું. મારે એક દીકરી અને એક દીકરો છે. મારી પાસે ઘર ચલાવવા પૈસા નથી. હું મારા બાળકોનું પેટ ભરી શકતી નથી. અમે ભૂખે મરીએ છીએ તેથી હું મરવા આવી છું.’
પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને તેને આત્મહત્યા ના કરવા સમજાવી અને મદદરૂપ થવાનું કહી તે એને પોતાની કારમાં બેસાડી તેના ઘેર લઈ આવ્યો. પતિની સાથે આવેલી એક અજનબી મહિલાને જોેઈ આસિફની પત્ની ચાંેકી ઊઠી. એણે પતિને પૂછયુંઃ ‘આ મહિલા કોણ છે?’ એ પ્રશ્નના જવાબમાં આસિફખાને સચ્ચાઈ બતાવી દીધી.
તે પછી આસિફખાને પરવીનને જમવાનું આપ્યું જમાડયા પછી તે પોતાની કારમાં જ પરવીનને તે જ્યાં રહેતી હતી તે ભોજપુરી ખાતે મૂકી આવ્યો. એ વખતે તેણે પરવીનને ખર્ચ માટે એક હજાર રૂપિયા પણ આપ્યા. પરવીન તો જીવનલીલા સમાપ્ત કરવા ગઈ હતી પરંતુ એ અજાણ્યા આદમીએ તેને બચાવી નવી જિંદગીની ઉમ્મીદ બક્ષી. તે આસિફની દરિયાદિલી પર ખુશ થઈ ગઈ. આસિફને પરવીન માટે હમદર્દી તો હતી પરંતુ પરવીનની ખૂબસૂરતી પર તે આફરીન થઈ ગયો હતો.આસિફે હવે પરવીનનું રહેવાનું સ્થળ પણ જોેઈ લીધું હતું. તે નજદીકિયાં બનાવવા માગતો હતો. કેટલાક દિવસ બાદ તે ફરી પરવીનને મદદ કરવાના બહાને તેના ઘેર ગયો. પરવીને તેનો સત્કાર કર્યો. આમેય તે બેસહારા હતા. તે પછી આસિફ અવારનવાર પરવીનને મળવા લાગ્યો. પરિણામ એ આવ્યંુ કે, બેઉ વચ્ચે સંબંધ પણ બંધાયો. આસિફ પરવીનને આર્થિક મદદ કરતો હતો. પરવીન અને તેનાં બે સંતાનો માટે એણે શાસ્ત્રીપાર્કની ગલીમાં એક વધુ સારો કમરો ભાડે અપાવી દીધો. ઘરનો ખર્ચ પણ હવે આસિફ જ ઉઠાવતો હતો.
આસિફખાનને માદીપુરથી વજિરાબાદ આવ્યે ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતા પરંતુ મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ અને જાહેરમાં તેને જે માર માર્યો હતો તે હજુ સુધી ભૂલ્યો નહોતો. બદલો લેવાની તીવ્ર ઈચ્છા હજુ પ્રજ્વલિત હતી, મહેતાબને પોતાની પસંદગીની જગાએ બોલાવી તે મહેતાબને ખત્મ કરી નાખવા માગતો હતો.
આ કામ માટે તેને પરવીન જ યોગ્ય લાગી. મહેતાબ સાથે બદલો લેવા એણે પરવીનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. વળી તેને ખાતરી હતી કે, પરવીન તેને કોઈ કામ માટે ના નહીં પાડે.
એક સાંજે આસિફખાને પરવીનને કહ્યુંઃ ‘પરવીન! મહેતાબે મને જાહેરમાં માર્યો છે, મારે તેની સાથે બદલો લેવો છે, બોલ, તું મદદ કરીશ.’
પરવીન તો આસિફ માટે મરવા પણ તૈયાર હતી એણે હા પાડી. પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને એક યોજના બનાવી. યોજના અનુસાર એણે બિહારના તૌહારના નામનું એક નકલી વોટર આઈકાર્ડ બનાવ્યું. તેના આધારે એક સિમકાર્ડ ખરીદ્યું. એ કાર્ડ પોતાના મોબાઈલ ફોનમાં નાંખી તે ફોન પરવીનને આપ્યો અને મહેતાબનોે નંબર આપી એણે કહ્યુંઃ ‘પરવીન! તું કોઈ પણ રીતે મહેતાબને તારા હુશ્નની મોહજાળમાં ફસાવી દે.’ આ કામ માટે એણે પરવીનને પાંચ હજાર રૂપિયા આપ્યા.
બીજા જ દિવસે પરવીને મહેતાબને મિસ કોલ આપ્યો, મહેતાબે વળતો ફોન કર્યો. મહેતાબને પરવીનની વાતો દિલચશ્પ લાગી. બીજા દિવસે પરવીને ફરી મહેતાબને ફોન કર્યો. બંને વચ્ચે ફરી વાતચીત થઈ. પરવીને કહ્યુંઃ ‘હું એકલી છું, ભૂખી છું. તડપી રહી છું. એક મિત્ર પાસેથી તમારો નંબર મળ્યો છે. લોકો કહે છે કે તમે બહુ ઉદાર છો. હું કોઈનો સહારો ઈચ્છું છું.’
મહેતાબને ફસાવવા માટે આટલા શબ્દો કાફી હતા. બેઉને મળવાનું નક્કી કર્યું. મહેતાબ હજુ અપરિણીત હતો. મહેતાબે પહેલી જ વાર પરવીનને જોેઈ અને તેના હુશ્નનો દીવાનો થઈ ગયો. બેઉ પહેલીવાર એક રેસ્ટોરાંમાં ગયા. મહેતાબે પરવીનની ખૂબ ખાતિરદારી કરી. બેઉ જણે ખૂબ વાતો કરી. પરવીને કહ્યુંઃ ‘મારા પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. બાળકોને ખવરાવવા પૈસા નથી.’
મહેતાબે તેને મદદ કરવાનું વચન આપ્યું. બેઉ છૂટા પડયા. પરંતુ તે દિવસ પછી મહેતાબ રોજ પરવીનને ફોન કરવા લાગ્યો. બેઉ જણ લાંબી લાંબી વાતો કરવા લાગ્યા. હવે તેઓ એકાંત શોધવા લાગ્યા. એકાંત મળતાં યોજના પ્રમાણે પરવીને મહેતાબ સાથે સંબંધ પણ બાંધ્યો. પરવીને નકલી પ્રેમી મહેતાબને હવે પોતાની જાળમાં બરાબર ફસાવી દીધો હતો. થોડા દિવસ પછી પરવીને તેના અસલી પ્રેમી આસિફખાનને ફોન કર્યોઃ ‘મછલી જાળમાં ફસાઈ ગઈ છે.’
આસિફખાને પરવીનને કહ્યુંઃ ‘એક કામ કર. આગલા રવિવારે તું એને રાતના નવ વાગ્યે શાસ્ત્રીપાર્ક, મેટ્રો સ્ટેશન પાસે લઈ આવજે.હું મારા મિત્રો સાથે ત્યાં આવી જઈશ. ત્યાંથી અમે તેનું અપહરણ કરી બીજે લઈ કામ સમાપ્ત કરી દઈશું.’
આસિફખાન મહેતાબ સાથેનો બદલો લેવાની પૂરી યોજના બનાવી ચૂક્યો હતો. એણે તેના બે મિત્રોને પણ આ યોજનામાં સામેલ કરી દીધા.એ યોજના અનુસાર પરવીને રવિવારે મહેતાબને ફોન કર્યોઃ ‘ચાલને આજે ફરવા જઈએ. આજે રાત્રે ૯ વાગે શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન મળજે.’
મહેતાબ તો પરવીનની પાછળ પાગલ હતો. રવિવારની રાત્રે નિયત સ્થળે પહોંચ્યો. આસિફખાન તેની સેન્ટ્રો કારમાં તેના બે મિત્રો દોરડું અને તમંચાથી સજ્જ થઈને બેઠા હતા. પરવીન અલગથી શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન નજીક પહોંચી. મહેતાબ પણ આવી ગયો તે રાતના અંધારામાં પરવીન સાથે વાતો કરવા લાગ્યો. વાતો કરતાં કરતાં પરવીન મહેતાબને દૂર જવાં આસિફખાનની કાર ઊભી હતી ત્યાં સુધી લઈ ગઈ. મહેતાબ જેવા એ કાર પાસે પહોંચ્યા તેવા જ ત્રણ જણ કારમાંથી બહાર આવ્યા. એ ત્રણે જણે મહેતાબને ખેંચી કારમાં નાંખ્યો. એક જણે એનું મોં દબાવી દીધું. બીજાએ પગ પકડી રાખ્યા. આસિફખાને મહેતાબના લમણામાં તમંચો ધરી ચૂપ રહેવા કહ્યું. મહેતાબ ગભરાઈ ગયો. એ બોલી શક્યો જ નહીં. તે પછી આસિફના એક મિત્રએ કાર દોડાવી દીધી. પરવીન ટ્રેનમાં બેસી પાછી જતી રહી. કાર હવે મેરઠ તરફ દોડતી હતી. દૂર એકાંત આવતાં કારને એક એપ્રોચ રોડ તરફ વાળવામાં આવી. તમંચાની અણીએ મહેતાબના ગળામાં રસ્સી વીંટાળી તેનું ગળું ટૂંપાવી દીધું. થોડીવારમાં જ મહેતાબના શ્વાસ બંધ થઈ ગયા. તેના હાથ-પગ પણ તડપતા બંધ થઈ ગયા. હત્યા કરી દીધા બાદ તેની લાશને એક નહેરમાં ફેંકી દેવામાં આવી. લાશને ઠેકાણે પાડીને બધા ઘેર આવી ચૂપચાપ સૂઈ ગયા.
મહેતાબ ગુમ થઈ ગયાની ફરિયાદના એક મહિના બાદ મહેતાબના મોબાઈલ ફોન પર આવેલા છેલ્લા ફોન કોલ્સના આધારે પોલીસે છેવટે ફોન નંબર અને આઈએમઆઈ નંબરના આધારે આસિફખાન સુધી પહોંચી શકી. પોલીસે આસિફખાન, તેના બે મિત્રો તથા હત્યાના ષડ્યંત્રમાં મદદરૂપ થનાર પરવીનની ધરપકડ કરી.
બધા જ આરોપીઓ હવે જેલમાં છે.
એક સ્ત્રીના હુશ્ન પર કેટલો ભરોસો રાખશો?
દેવેન્દ્ર પટેલ