Close

આજે રામનવમી: – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’

રેડ રોઝ | Comments Off on આજે રામનવમી: – ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’
આજે રામનવમી:
– ઋષિએ દશરથ રાજાને કહ્યું: `તમારા ઘેર દીકરો થશે. સ્વયં પરમાત્મા તમારા ઘેર પુત્રરૂપે પધારવા આવી રહ્યા છે’
પેટા હેડીંગ- અયોધ્યાના રાજા દશરથ અને તેમના પુત્ર રામના જન્મની દિવ્ય પ્રેરકકથા
આજે ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે. આ દિવસ રામનવમી તરીકે પણ ઓળખાય છે. આ પરિપ્રેક્ષ્યમાં ભગવાન શ્રીરામના પૂર્વજ અને શ્રીરામના જન્મની દિવ્ય પ્રેરકકથા પ્રસ્તુત છે.
ભગીરથ મહારાજના વંશમાં શ્રૃત, નાભ, સિન્ધુદ્વીપ અને તે પછી અપુતપુ થયા. આ વંશમાં ઋતુપર્ણ નામનો પણ રાજા થયો. વંશ આગળ ચાલ્યો. કેટલીક પેઢીઓ બાદ ખટ્વાંગ નામનો રાજા થયો. તેમના વંશમાં દિલીપ નામના રાજા થયા. આ દિલીપ રાજાએ ગાયમાતાની બહુ સેવા કરી હતી.
એક વખત જંગલમાં સિંહ એક ગાયની પાછળ શિકાર કરવા પડ્યો હતો. રાજા દિલીપે સિંહને રોકતાં કહ્યુંઃ `તું મને મારીને ખાઈ જા, પણ આ ગાયમાતાને છોડી દે.’
ગાયનું રક્ષણ કરવા રાજા દિલીપે પોતાના શરીરનો ભોગ આપ્યો હતો.
આવા રાજા દિલીપના એક પુત્રનું નામ રઘુ. રઘુરાજા મહાન જ્ઞાની, વીર અને ઉદાર હતા. એક યજ્ઞ દરમિયાન તેમણે પોતાના શરીર પર પહેરેલા વસ્ત્રને છોડીને પોતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એ પછી રઘુરાજાની કીર્તિ વધી જતાં તેમના સૂર્યવંશને લોકો રઘુવંશ કહેવા લાગ્યા હતા.
રઘુરાજાનો પુત્ર અજ રાજા થયો. અજ રાજાનું લગ્ન ઈન્દુમતી રાણી સાથે થયું. તેમના ઘેર એક બાળક જન્મ્યો. તેનું નામ દશરથ. દશરથ ચક્રવર્તી રાજા થયા. અયોધ્યામાં રહી રાજ કરવા લાગ્યા. તેમને ત્રણ રાણીઓ હતી. છતાં સંતાનપ્રાપ્તિ ન થતાં રાજાએ વસિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી. વસિષ્ઠ ઋષિએ રાજાના હસ્તે પુત્ર કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિ નારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ બહાર આવ્યા.
અગ્નિદેવે રાજા દશરથને કહ્યુંઃ `તમારા ઘેર ચાર બાળકો થશે. તે તમને બહુ જ સુખ આપશે. તમારી કીર્તિ વધારશે. આ પ્રસાદી છે તે તમે લો.’
અગ્નિ નારાયણે રાજા દશરથને પ્રસાદી પાયસ આપ્યું. રાજાને આનંદ થયો. પ્રસાદ મસ્તક પર ચઢાવ્યો. રાજા દશરથે ઋષિ વસિષ્ઠને પૂછ્યું: `તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે. આ પ્રસાદનું હું શું કરું?’
વસિષ્ઠ ઋષિએ કહ્યુંઃ `રાજા, કૌશલ્યા તમારાં ધર્મપત્ની છે. પ્રસાદમાં મુખ્ય અધિકાર તો તેમનો છે. એમને પ્રસાદ આપો.’
કૈકેયી અને સુમિત્રાને પણ પ્રસાદ લેવાની ઈચ્છા હતી. અંતે વસિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યુંઃ `અડધો પ્રસાદ પહેલાં કૌશલ્યાને આપો અને બાકીનો અડધો રહે તેના બે ભાગ કરી એક ભાગ કૈકેયીને તથા એક ભાગ સુમિત્રાને આપો.’
કૈકેયીને પાછળથી પ્રસાદ આપ્યો, તેથી તેને ખોટું લાગ્યું. તેને ક્રોધ આવ્યો. કૈકેયીને અભિમાન હતું કે, `હું સુંદર છું. રાજા મારા આધીન છે’ એમ કહી કૈકેયી અહંકારની ભાષામાં તેમણે મહારાજ માટે અપમાનજનક શબ્દો વાપર્યા.
કૈકેયીએ દશરથ રાજાને કહ્યુંઃ `મારે પ્રસાદ જોઈતો નથી.’
એ જ સમયે એક સમડી આવી અને કૈકેયીના હાથમાં પ્રસાદ ઝૂંટવીને ઊડી ગઈ.
એ વખતે અંજન પર્વત ઉપર અંજની મા પંચાક્ષર શિવમંત્રનો જાપ કરતાં હતાં: `મને ભગવાન શંકર જેવો મહાન જ્ઞાની અને મહાન વીર પુત્ર થાય.’ અંજનીમાની આવી ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી જે સમડીએ કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવ્યો હતો તે પ્રસાદ અંજનીમાના હાથમાં પધરાવી દીધો. અંજનીમાતાની આંખો બંધ હતી. તેઓ સમજ્યાં કે શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે. એમ માનીને તેઓ પ્રસાદ આરોગી ગયાં. પ્રસાદ લીધા બાદ તેઓ ગર્ભવતી બન્યાં. પૂરા માસે તેમના પેટે હનુમાનજી પ્રગટ્યા.’
આ તરફ હાથમાંથી સમડી પ્રસાદ લઈ જતાં કૈકેયીને બહુ દુઃખ થયું. તેઓ રડવા લાગ્યાં. તેમને રડતાં જોઈ કૌશલ્યાજીને દયા આવી. તેમણે તેમના પ્રસાદમાંથી થોડો ભાગ કૈકેયીને આપ્યો. પ્રસાદ લીધા બાદ ત્રણેય રાણીઓને ગર્ભ રહ્યો.
ફરી એકવાર વસિષ્ઠ ઋષિએ રાજા દશરથને કહ્યુંઃ `સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. તમે તમારી રાણીઓને રાજી કરો, તેઓ જે માંગે તે આપો.’
વસિષ્ઠ ઋષિની સલાહ બાદ રાજા દશરથે પહેલાં સુમિત્રાજીને પૂછ્યુઃં `મહારાણી, તમારી શું ઈચ્છા છે?’
સુમિત્રાજીએ કહ્યું: `મારા માટે આ અલગ રાજમહેલ છે તે મને નથી ગમતું. મારે અલગ રહેવું નથી. મારી ઈચ્છા છે કે હું કૌશલ્યાજીની સેવા કરું. મને કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની સેવામાં રાખો.’
સુમિત્રાજીની આ વાત સાંભળી વસિષ્ઠ ઋષિ બોલ્યાઃ `રાજન! ભવિષ્ય બહુ જ સુંદર દેખાય છે. એમના પેટમાં કોઈ મહાન પુરુષ હશે. નહીં તો સૌતનની સેવા કરવાની કોઈની ઈચ્છા થાય નહીં.’
એ પછી રાજા દશરથ મહારાણી કૌશલ્યાની પાસે ગયા. તેઓ શાંત છે. તેમની બોલવાની ઈચ્છા નથી. કંઈ ખાવાની પણ ઈચ્છા નથી. દશરથ રાજા તેમના મહેલમાં ગયા ત્યારે કૌશલ્યાજી ધ્યાનમાં બેઠેલાં હતાં. માથાના વાળ ખુલ્લા છે. દૃષ્ટિ નાકની અણી પર છે. તેમનું મન સ્થિર અને ચિત્ત એકાગ્ર થયેલું છે. પતિદેવ આવ્યા છે એ વાતની પણ તેમને ખબર પડી નહીં. છેવટે દશરથ રાજા બોલ્યાઃ `ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું. તમારી શું ઈચ્છા છે?’
કૌશલ્યાજી હજુ ધ્યાનમાં હતાં.
દશરથ રાજાને જોઈ દાસીએ મહારાણી કૌશલ્યાને જગાડ્યાં. કૌશલ્યાજી જાગ્યાં. એટલે દશરથ રાજાએ ફરી પૂછ્યુઃં `તમારી શું ઈચ્છા છે?’
કૌશલ્યાજીએ સ્વસ્થ થતાં કહ્યુંઃ `હું અતિ આનંદમાં છું. મને કોઈ ઈચ્છા નથી.’
રાજા વિચારમાં પડી ગયા, પરંતુ કૌશલ્યાજી જાણતાં હતાં: `આનંદમય શ્રીરામ મારા હૃદયમાં છે. હવે કંઈ બોલવાની ઈચ્છા પણ નથી. મારે કોઈ સુખ ભોગવવું નથી.’
ત્યારે ઋષિ વસિષ્ઠે દશરથ રાજાને કહ્યુંઃ `રાજન! આ તો વેદાંતના બધા સિદ્ધાંતો બોલે છે. ભવિષ્ય બહુ સુંદર છે.’
માતા કૌશલ્યાના હૃદયમાં બિરાજેલા પરમાત્માની દેવો, ગાંધર્વો પણ સ્તુતિ કરવા લાગ્યા. શ્રીરામ અયોધ્યામાં પ્રગટ થવાના હતા. જે નગરમાં યુદ્ધ થયું નથી તેને અયોધ્યા કહે છે.
દશરથ રાજા જિતેન્દ્રીય છે, તપસ્વી છે. પંચજ્ઞાનેન્દ્રિય, પંચકર્મેન્દ્રિય અને દસ ઈન્દ્રિયોને કાબૂમાં રાખે છે. તેમનો રથ સીધો ચાલે છે. આવા મહારાજા નિદ્રાધીન હતા ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું. રાજાએ સ્વપ્નમાં જોયું તો મોટા મોટા સાધુ મહાત્માઓ તેમના ઘેર આવ્યા છે. એ બધા તેમને આશીર્વાદ આપે છે.
દશરથ મહારાજા જાગ્યા. સ્વપ્નનો અર્થ સમજવા તેઓ દૂર ઋષિ વસિષ્ઠ પાસે ગયા. તેમણે સ્વપ્નનું વર્ણન કર્યું.
ઋષિએ કહ્યુંઃ `રાજન, સ્વપ્ન બહુ સુંદર છે. તમારા ઘેર દીકરો થશે અને એના જેવો આજ સુધી કોઈના ઘેર થયો નહીં હોય અને થશે નહીં. મને લાગે છે કે પરમાત્મા સ્વયં પુત્રરૂપે તમારા ઘેર પધારવાના છે. તેનું આ સ્વપ્ન સૂચક છે.’
અને ઋષિની સૂચના મુજબ દશરથ રાજા સ્નાન કરી ધ્યાનમાં બેસી જપ કરવા લાગ્યા.
અને પરમ પવિત્ર સમય આવી પહોંચ્યો. દસ દિશાઓ પ્રસન્ન થઈ. મંદ, શીતળ, સુગંધીદાર પવન વાવા લાગ્યો. ચૈત્ર માસ, શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ, પુનર્વસુ નક્ષત્રનો સુયોગ અને મધ્યાહ્‌ન કાળે માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે ભગવાન શ્રીરામ પ્રગટ થયા.
માતા કૌશલ્યા બહુ રાજી થયાં, પરંતુ તેમની ઈચ્છા ભગવાન શ્રીરામને બે હાથવાળા જ જોવાની હતી.
માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ અંતર્ધાન કર્યું અને બે હાથવાળા બાળક શ્રીરામનું પ્રાગટ્ય થયું.
આવી છે ભગવાન શ્રીરામના જન્મની કથા અને આવી છે અયોધ્યાના રાજા દશરથની કથા. હવે માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ ભગવાન શ્રીરામના લંકા વિજયને દીવડા પ્રગટાવી ઊજવે છે.
ભારતવર્ષ માટે એ ખુશીની વાત છે કે ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલાની દિવ્ય પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ. ભગવાન શ્રીરામ દેશ-વિદેશમાં વસતા ૧૦૦ કરોડ હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે.
અયોધ્યાના રામમંદિરને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. રામ જન્મભૂમિમાં ટૂંક સમયમાં વધુ ૧૪ મંદિરોનો અભિષેક થવા જઈ રહ્યો છે. આ મંદિરોનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં રામ દરબારની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવશે.મંદિરમાં રામનવમીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
રામ જન્મભૂમિ સંકુલમાં ૧૪ મંદિરોનું નિર્માણ ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટે હાલમાં જ આ મંદિરોની તસવીરો શેર કરી છે. જો અહેવાલોનું માનીએ તો મંદિરનું ૯૦ %થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. ૫ જૂન, ૨૦૨૫ના રોજ ગંગા દશેરાના અવસર પર આ મંદિરોમાં મૂર્તિઓને પવિત્ર કરવામાં આવશે.
રામ દરબારનું ઉદ્‌ઘાટન
રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામ દરબાર માટે બનેલા મંદિરનો ફોટો પણ શેર કર્યો છે. રામ દરબાર માટે સિંહાસન પણ બનાવવામાં આવ્યું છે. આ સિંહાસન મકરાન માર્બલથી બનેલું છે. ૩૦ એપ્રિલે રામ દરબારમાં તમામ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.
રામનવમીનો તહેવાર ૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ છે. આવી સ્થિતિમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામનવમીનું શિડ્યુલ શેર કર્યું છે. આ દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે રામલલાના સૂર્ય તિલકનાં પણ દર્શન થશે. સૂર્યનાં કિરણો રામલલાના કપાળ પર ૪ મિનિટ સુધી ચમકશે.
—————————–

Be Sociable, Share!