
આજે સરદાર સાહેબના જીવનકાર્ય પર એક નજર નાંખીએ.
દેશમાં કંઈ પણ બને છે ત્યારે સૌના હોઠ પર એક જ પ્રશ્ન હોય છે: `આજે સરદાર સાહેબ હોત તો?’
ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને બે વર્ષ બાદ તા. ૨૪-૬-૧૯૪૯ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું: `દેશ માટે મેં જે કંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં, પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.’
અને આજે એટલા જ માટે બધાને થાય છે: `આજે સરદાર સાહેબ હોત તો?’
ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલું બાળક ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાત ક્ષેત્રે નામાંકિત બને છે. પ્રારંભમાં રાજકારણથી અલિપ્ત રહેલા વિખ્યાત ધારાશાસ્ત્રી વલ્લભભાઈને આ વ્યવસાયમાં યશ હતો, કીર્તિ હતી, વૈભવ હતો, લખલૂટ આવક પણ હતી. ૧૯૧૩થી ૧૯૧૭ના વર્ષોમાં વકીલ વલ્લભભાઈ પટેલની બેરિસ્ટર તરીકેની સરેરાશ માસિક આવક રૂ. ૪૦,૦૦૦ હતી. એ સાથે એમના આખરી દિવસોનું અવલોકન કરીએ તો ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦માં સરદારનું અવસાન થયું ત્યારે નાયબ વડાપ્રધાન એવા સરદાર પટેલનું બેંક બેલેન્સ માત્ર રૂ. ૨૧૬ હતું.
વકીલાતનો આરંભ તેમણે અમદાવાદથી કર્યો હતો. વકીલાત કરતાં કરતાં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું અને ૧૯૨૪ની સાલમાં તેઓ અમદાવાદ મ્યુનસિપાલિટીના પ્રમુખ બન્યા હતા. એ વખતે અમદાવાદ ધુળેટાબાદ તરીકે ઓળખાતું હતું. શહેરમાં પાણીના નળ નહોતા. પોળોમાં સાતથી આઠ ફૂટના સાપ નીકળતા. ગંદકીના કારણે પ્લેગ પણ ફાટી નીકળ્યો હતો. આવા ગંદા શહેરની સિકલ બદલી નાખવાનું કામ સરદાર સાહેબે કર્યું હતું. તેમણે ટાઉન પ્લાનિંગ શરૂ કર્યું: મણિનગર, જમાલપુર અને એલિસબ્રિજ વિકસાવ્યા. પૈસાદારોને તેમની બગીઓ પોળોની બહાર રાખવાની ફરજ પાડી. તેમના જ પ્રયાસથી અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ઊભી થઈ. તેમણે પબ્લિક ટોઈલેટ સિસ્ટમ શરૂ કરાવી. વિક્ટોરિયા ગાર્ડન પણ સરદાર સાહેબની જ ભેટ છે. સરદાર સાહેબ જ ૧૯૨૭માં અમદાવાદ શહેરમાં રેડિયો સ્ટેશન લાવ્યા. આજનો રિલિફ રોડ (તિલક માર્ગ) પણ સરદાર સાહેબે બનાવડાવ્યો. રસ્તો પહોળો કરવામાં અડચણરૂપ મકાનો, મંદિરો, દેરાસરો અને મસ્જિદોને પણ કુનેહપૂર્વક હટાવ્યાં. અમદાવાદમાં પીવાના પાણીની ચકાસણીની લેબોરેટરી પણ સરદાર સાહેબ જ લાવ્યા. શહેરમાં પીવાના પાણીના નળ પણ તેઓ જ લાવ્યા. પરંતુ એક દિવસ તેઓ સાબરમતી નદીના પટમાં યોજાયેલી ગાંધીજીની સભામાં બાપુને સાંભળવા ગયા. ગાંધીજીને સાંભળ્યા બાદ તેમણે ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી. વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો. એ વખતે સરદાર સાહેબ પાસે બેરિસ્ટરના ઝભ્ભા, ડઝનબંધ સૂટ, નેકટાઈઓ, બસોથી અઢીસો કોલર, દસેક જોડી બૂટ હતા. એ બધું જ ફગાવી દીધું. તમામ વિદેશી ચીજોની હોળી કરી દીધી. શરીરસુખ આપે તેવી તમામ વૈભવી ચીજો છોડી બરછટ ખાદી અપનાવી.
આઝાદીના જંગમાં તેઓ ગાંધીજીની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ બનતાં તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન પદના હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને માથા પર ચડાવી તેમણે નાયબ વડાપ્રધાન પદ સ્વીકાર્યું હતું . એ વખતના સુપ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બેશરીએ ૧૯૫૦ના વર્ષમાં લખ્યું હતું: `Nehru heads the government, Sardar patel runs it.’ અર્થાત્ સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર જ ચલાવે છે.
દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં સરદાર સાહેબનું જીવન કેટલું સાદગીપૂર્ણ હતું તે જાણવા જેવું છે. નાયબ વડાપ્રધાન તરીકે સરદાર સાહેબને મળેલા મકાનમાં એક જ ટેલિફોન હતો, જેનો નંબર ૪૦૪૦૭ હતો. એ ફોન સરકારી કામકાજ સિવાય કોંગ્રેસ પક્ષ કે પોતાના અંગત કામ માટે વપરાતો ત્યારે સરદાર સાહેબ એ વધારાના ફોનનાં નાણાં પોતે ચૂકવી દેતા. સરદાર સાહેબને મળેલી કારનો ઉપયોગ માત્ર સરકારી કામકાજ માટે જ કરાતો. સરદાર સાહેબ સરકારી કામ માટે બહાર જાય ત્યારે કોઈ ટીએ બિલ મૂકતા નહોતા. જે પત્રો સરકારી કામકાજ માટે લખતા તેની ટપાલ ટિકિટ જ સરકારના ખાતામાંથી લેવાતી હતી. જ્યારે અંગત પત્રો પર ટિકિટ લગાડવાના પૈસા સરદાર સાહેબ પોતાના ખિસ્સામાંથી ચૂકવી દેતા. સરદાર સાહેબે તેમના પુત્ર ડાહ્યાભાઈનાં લગ્નમાં માત્ર ૧૨ રૂપિયા જ ખર્ચ્યા હતા.
સરદાર સાહેબ બોલ્યા હતા: `હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડાં લાકડાં ભેગાં કર્યાં હતાં અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી, મારો દરજ્જો બધું એમાં સ્વાહા કરી દીધું હતું.’
સરદાર પટેલ તેત્રીસ વર્ષ જાહેર જીવનમાં રહ્યા. એમાં એમના ફાળે ખરેખર શાસનની સત્તા તો ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭થી ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ સુધીની એટલે કે સાડા ત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય નાયબ વડાપ્રધાનપદ ભોગવ્યું. બાકીનાં ત્રીસેક વર્ષ તો આઝાદીની લડતોમાં અને જેલવાસમાં જ વીતી ગયાં.
૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું અને દિન-પ્રતિદિન એમાં એકાકાર થતાં ગયા. ૧૯૧૯માં તો પોતાની લાખો રૂપિયાની આવકવાળી વકીલાત છોડી પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું. આ નેકદિલ માણસને મન સાચું તે સાચું અને ખોટું તે ખોટું પારખવાની અજબ શક્તિ હતી. ગાંધીજીની સચ્ચાઈ અને વાણી-વર્તનના સુમેળ વિશે ખાતરી થતાં જ સરદારે એમને નેતા તરીકે સ્વીકાર્યા અને આજીવન ગાંધીજીને અનુસર્યા. આમ છતાં પોતાની વિવેકબુદ્ધિ કે પોતાનું દૃષ્ટિબિંદુ ધરાવવાનો હક સરદારે કોઈનેય સુપરત કર્યો નહોતો, ગાંધીજીને પણ નહીં. કેટલાય બનાવોમાં એમનો મત ગાંધીજીથી જુદો પડતો ત્યારે જાહેરમાં પણ પોતાના વિચારોને વ્યક્ત કરતા. ઉદાહરણ તરીકે દેશના સંરક્ષણ અંગે ગાંધીજી સાથેનો એમનો વિચારભેદ સરદાર સાહેબે આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો હતો: `મુઝે રાજ ચલાના હૈ, બંદૂક રખની હૈ, તોપ રખની હૈ, આર્મી રખની હૈ. ગાંધીજી કહતે હૈં કી કુછ ન કરો. તો વહ મૈં નહીં કર શકતા. ક્યોંકિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હૂં. મેરી જિમ્મેદારી હૈ કિ મૈં સબ કી રક્ષા કરું. દેશ પર હમલા હોગા તો મૈં બરદાસ્ત નહીં કરૂંગા ક્યોંકિ મેરી જિમ્મેદારી હૈ. મૈંને ગાંધીજી કો કહા, `આપકા રાસ્તા અચ્છા હૈ, લેકિન વહાં તક મૈં નહીં જા પાતા હૂં.’
એક સમયે જમનાલાલ બજાજ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ હતા. શેઠ જમનાલાલ બજાજના અવસાન પછી કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈની કોંગ્રેસના કોષાધ્યક્ષપદે નિમણૂક કરી. આ હોદ્દો તેઓએ જિંદગીના અંત સુધી સંભાળ્યો અને શોભાવ્યો. એના ઉદાહરણ તરીકે એક પ્રસંગનું સ્મરણ કરીએ તો ૧૯૫૦માં સરદાર અવસાન પામ્યા ત્યારે કોંગ્રેસ પક્ષનું ભંડોળ રૂ. ૨૮ લાખ હતું.
સરદારની નાદુરસ્ત તબિયતને કારણે કામનું ભારણ ઓછું થાય તે માટે સરદારનાં પુત્રી મણિબહેને રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુ રકમનું બૅન્ક બેલેન્સ તથા પક્ષના ફંડની આવક-જાવકનો તમામ હિસાબ દર્શાવતાં કાગળો કોંગ્રેસ પ્રમુખ ટંડનજીને સુપરત કર્યા ત્યારે ટંડનજીની આંખો સજળ બની ગઈ હતી. તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા: `ધન્ય સરદાર તમારી પ્રામાણિકતાને!’
ટંડનજીએ કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં સરદારને શ્રદ્ધાંજલિ આપતાં આ હકીકત જાહેર કરી ત્યારે વડાપ્રધાન નહેરુએ આશ્ચર્ય સાથે એવા ઉદ્ગાર કાઢ્યા, `હું તો માની પણ શકતો નથી કે કૉંગ્રેસ પક્ષ પાસે અઠ્ઠાવીસ લાખ જેવું ભંડોળ હશે!’ માજી કૉંગ્રેસ પ્રમુખ અને ઇતિહાસકાર પટ્ટાભિ સીતારામૈયાના શબ્દોમાં સરદારને ઓળખીએ તો `એમની પાસે પોતાની અંગત કહી શકાય એવી કોઈ મિલકત નહીં, જણસ પણ નહીં, માત્ર પહેરવાનાં બે-પાંચ કપડાં, અવસાન સમયે નજીવું બૅન્ક એકાઉન્ટ.’
સરદારના જીવનવ્યવહારમાં અકિંચન સ્વરૂપના સમ્યક્ દર્શન કરાવતા અનેક પ્રસંગો મળી આવે છે. મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં એક મોટું થીંગડું જોઈને મણિબહેનની મજાક કરી, `તમે એક શક્તિશાળી બાપની દીકરી છો, દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા સરદારનાં દીકરી થઈ તમે સાંધેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી.’
આ સાંભળી સરદાર તાડૂકી ઊઠ્યા, `ગરીબ માણસની દીકરી છે. સારાં કપડાં ક્યાંથી લાવે? એનો બાપ થોડો કંઈ કમાય છે?’
સરદારે એમનાં ચશ્માંનું ખોખું બતાવ્યું, જે ૨૦ વર્ષ જૂનું હતું. એમનાં ચશ્માંની એક જ દાંડી હતી. બીજી બાજુએ દોરો બાંધ્યો હતો. એ જ રીતે એમની ઘડિયાળ ત્રણ દાયકા જૂની હતી અને પેન દસ વર્ષ જૂની હતી. ડૉ. સુશીલા નાયરે નોંધ્યું છે, `મણિબહેન નિયમિત રેંટિયો કાંતેે ને એમાંથી જ સરદારની કફની અને ધોતિયાં બને છે. એ કપડાં જ્યારે ફાટી જાય ત્યારે એને કાપી સીવીને સાંધીને મણિબહેન પોતાનાં કપડાં બનાવે છે.’
સરદાર નાયબ વડાપ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, `અંગત ઉપયોગ માટે થતા ફોનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતા. ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા. પક્ષ તેમજ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા. સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતા નહોતા. નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતા. નહેરુ વિદેશ ગયેલા એ સમયગાળામાં સરદાર વડાપ્રધાનપદનો હવાલો સંભાળતા હતા. સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે.
આમ, ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોડી કપડાં, બે જોડી ચંપલ, એક પતરાની બેગ, રેંટિયો, બે ટિફિન, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં, જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ દ્વારા સંચાલિત સરદાર રાષ્ટ્રીય સ્મારકમાં એમની સ્મૃતિરૂપે આજે પણ જળવાઈ રહ્યાં છે.
તા. ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦માં સરદાર સાહેબનું મૃત્યુ થયું ત્યારે તેમનું બેક બેલેન્સ માત્ર રૂ. ૨૧૬ હતું. તેમની પાસે કોઈ સ્થાવર મિલકત કે પોતાનું મકાન નહોતું. તેમણે જ્યારે આ ફાની દુનિયા છોડી ત્યારે તેમની પાસે ચાર જોડી કપડાં, બે જોડી ચંપલ, પતરાની એક પેટી, રેંટિયો, બે ટિફિન અને એક સગડી હતાં.
સરદાર સાહેબ સરકારી કામ માટે જાય ત્યારે જ સરકારી મોટર વાપરતા. અંગત ઉપયોગ માટે અંગત કાર વાપરતા.
સરદાર સાહેબે દિલ્હી મળવા ગયેલા તેમના પુત્ર ડાહ્યાભાઈ પટેલને રોકડું પરખાવી દીધું હતું કે, `અહીં તમને ભાતભાતના લોકો મળશે. રોટલા ખાવા ન મળે તો મારી પાસે આવજો, પણ સરદારના નામનો ઉપયોગ કરશો નહીં કે કમાશો નહીં. કોઈનીયે લાગવગ લઈ મારી પાસે આવશો નહીં. હું દિલ્હીમાં છું ત્યાં સુધી દિલ્હીથી બે માઈલ દૂર રહેજો.’
આઝાદીની લડત દરમિયાન ડિસેમ્બર માસમાં જયપુર ખાતે મળેલ કોંગ્રેસ અધિવેશનમાં સરદાર સાહેબનું પ્રવચન સાંભળી સહુ સ્તબ્ધ થઈ ગયા હતા. સરદાર સાહેબે પ્રવચન કરતાં કહ્યું હતું: `મારા દીકરાની પ્રવૃત્તિથી રાષ્ટ્રની આઝાદી જોખમાતી જણાય તો મારા પુત્રને કચડી નાંખવામાં એક ક્ષણનો પણ વિલંબ કરશો નહીં.’
સરદાર એ સાચા અર્થમાં સરદાર હતા. સરદારને એક `યુગપુરુષ’ જ કહી શકાય.
—————————— —————————— ——————-