Close

જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

‘એફ્રોદિતિ’ પ્રાચીન ગ્રીક પ્રજાની દેવી છે. તેને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવી છે. આ સમયગાળામાં રોમન પ્રજામાં આવંુ જ સ્થાન ‘વિનસ’નું હતું. એફ્રોદિતિના જન્મની કથા નાટકીય છે. તે યુરેનસ અર્થાત્ જ્યૂસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા અનુસાર જ્યૂસના પુત્ર ક્રોનસે તેના પિતાનું અંગ કાપીને દરિયામાં ફેંકી દીધું હતું. એ પછી દરિયામાં જબરદસ્ત ઊભરો આવ્યો હતો અને સમુદ્રના ફીણમાંથી એફ્રોદિતિ પ્રગટી હતી. મહાકવિ હોમરના કહેવા મુજબ તે જ્યૂસ અને ડિઓનની પુત્રી હતી.’છહ્લઇર્ંજી’નો અર્થ સમુદ્રનું ફીણ થાય છે તેથી તે એફ્રોદિતિ તરીકે ઓળખાઈ. જન્મતાંની સાથે જ તે પાણીમાં ખેંચાઈને સાયપ્રસ અર્થાત્ સિથેરાના કિનારે પહોંચી ગઈ હોવાથી તેે ‘સાયપ્રીસ’ (લેડી ઓફ સાયપ્રસ) અથવા ‘સાયથેરિયા’ તરીકે પણ ઓળખાય છે.

એફ્રોદિતિ અત્યંત સુંદર હોઈ તેના પિતાને દહેશત હતી કે તેની સાથે લગ્ન કરવા માટે દેવતાઓ અંદરોઅંદર યુદ્ધ કરશે અને શાંતિનો ભંગ કરશે. આ કારણથી તેના પિતા-દેવતા જ્સૂયે એફ્રોદિતિને હેફેસ્ટ્સ નામના બેડોળ અને અપંગ દેવતા સાથે પરણાવી દીધી. તેના પતિએ એફ્રોદિતિને સાચવી રાખવા સોના અને ઉત્કૃષ્ટ ઝવેરાતથી મઢી દીધી હતી, પણ એ કારણે એનું સૌંદર્ય વધુ ખીલી ઊઠયું અને બીજા અનેક દેવતાઓ અને માનવો તેના પ્રેમમાં પડી ગયા અને તે સ્વયં પણ અનેક દેવતાઓના પ્રેમમાં પડી ગઈ. તેના પ્રેમીઓમાં એક પ્રેમી તરીકે એડોનિસનું નામ જાણીતું છે. કહેવાય છે કે એડોનિસ માટે તેણે સરોગેટ મધરનું કામ પણ કર્યું હતું. તેને થયેલા પુત્રોમાં ઇરોઝ, ફોબોઝ, ડિમોઝ, હર્મોનિયા, પોથોઝ, હિમેરોઝ, હર્માફ્રોડિશોઝ વગેરે જાણીતા છે.

પ્રાચીન ગ્રીસના લોકોએ તેમની સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે જુદાં જુદાં નામ આપેલાં છે. આ દંતકથા અનુસાર એફ્રોદિતિને બચપણ હતું જ નહીં, તે શરૂથી જ પુખ્ત-યુવાન હતી. ઘણા ચિત્રકારોએ તે છીપમાં તણાઈને ગઈ હોવાથી છીપમાંથી જ પ્રગટ થતી નગ્ન યુવતી તરીકેના ક્લાસિક પેઇન્ટિંગ્સ દોરેલાં છે. પ્રાચીન ગ્રીક દંતકથાઓમાં તેનું વર્ણન ગુસ્સાવાળી અને પતિને વફાદાર ન રહેનારી દેવી તરીકે કરવામાં આવેલું છે. એફ્રોદિતિને હેફેસ્ટ્સ નામના દેવતા સાથે પરણાવી હતી, પરંતુ તેને યુદ્ધનો ખૂંખાર દેવતા એરેસ વધુ ગમતો હતો. ટ્રોજન યુદ્ધ માટે જવાબદાર હેલન પ્રત્યે ટ્રોયનો રાજકુમાર આર્કિષત થયો તેમાં પણ એફ્રોદિતિનો દૈવી રોલ જવાબદાર હોવાનું કહેવાયું છે. આ કારણે એફ્રોદિતિને અંગ્રેજીમાં ‘Goddess of Desire’ પણ કહેવામાં આવે છે. જે કામ ભારતીય પુરાણોમાં કામદેવતા કરતા હતા તે કામ પ્રાચીન ગ્રીસની કથાઓમાં એફ્રોદિતિ નામની દેવી કરતી હતી એમ કહી શકાય.

એરેસ નામના દેવતા સિવાય એફ્રોદિતિનો એક પ્રેમી એડોનિસ એક માનવી હતો, જેના માટે તે સરોગેટ મધર બની હતી. સાયપ્રસના રાજા સિનાયરસને એક અસાધારણ સૌંદર્ય ધરાવતી પુત્રી હતી, જેનું નામ માયરાહ હતું. માયરાહની માતાએ એક વાર એવી બડાસ હાંકી કે, “મારી પુત્રી સૌંદર્યની દેવી એફ્રોદિતિ કરતાં પણ વધુ રૂપાળી છે.” એટલે દેવી એફ્રોદિતિ ક્રોધે ભરાઈ અને શાપ આપ્યો કે, “તારી પુત્રી કદી પણ સંતોષ ન અનુભવે તેવી કામુક યુવતી બની જશે અને તેના પિતા તરફ જ આર્કિષત થશે.” એ પછી રાજકુમારી માયરાહ વેશ્યા બની ગઈ અને રાતના સમયે છૂપી રીતે તેના પિતા સાથે સૂવા લાગી હતી. અલબત્ત, રાત્રે પોતાની સાથે કોણ સૂઈ જાય છે, તે વાતની ખબર માયરાહના પિતાને નહોતી.

સમયાંતરે માયરાહ સગર્ભા બની. આ વાતની ખબર તેના પિતા સિનાયરસને પડતાં તેઓ ક્રોધે ભરાયા અને હાથમાં છૂરી લઈને તેને મારવા દોડયા. માયરાહ દોડીને વનમાં ભાગી અને દયા માટે દેવી-દેવતાઓને પ્રાર્થના કરવા લાગી. તે દોડતી હતી અને તેના પિતા પણ તેની પાછળ દોડતા હતા. દેવતાઓએ સગર્ભા માયરાહની પ્રાર્થના સાંભળી અને તેને એક વૃક્ષમાં પરિર્વિતત કરી દીધી, જેથી તેના પિતા તેની હત્યા કરી ન શકે. તે યુવતી માયરાહ વૃક્ષ બની ગઈ. અલબત્ત, પોતાના પરિવારનું ગૌરવ પુનઃ પ્રસ્થાપિત કરવા માટે સાયરસના રાજા સિનાયરસે આત્મહત્યા કરી લીધી.

માયરાહે જે બાળકને જન્મ આપ્યો તેનું નામ એડોનિસ. બન્યું એવું કે એ સમયે સૌંદર્યની દેવી એફ્રોદિતિ વૃક્ષ બની ગયેલી માયરાહ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એણે વૃક્ષ પાસે તાજા જન્મેલા નવજાત શિશુને જોયું. એફ્રોદિતિને દયા આવી અને એ બાળકને એક બોક્સમાં મૂકી પોતાની સાથે હેડ્સ ખાતે પેર્સેફોન પાસે લઈ ગઈ. પેર્સેફોન પણ એક દેવી હતી. વય વધતાં જ એડોનિસ સોહામણો યુવક બની ગયો. એક દિવસ દેવી એફ્રોદિતિ પાછી આવી. દેવી પેર્સેફોન ઇચ્છતી હતી કે એડોનિસ ગુપ્ત રીતે તેની સાથે જ રહે. બંને દેવીઓ વચ્ચે એડોનિસ માટે ઝઘડો થયો. આખોય મામલો એફ્રોદિતિના પિતા દેવતા જ્યૂસ પાસે ગયો. જ્યૂસે એવો હુકમ કર્યો કે, “વર્ષનો એક તૃતીયાંશ ભાગ એડોનિસ એફ્રોદિતિ સાથે રહેશે, બીજો એક તૃતીયાંશ ભાગ તે દેવી પેર્સેફોન સાથે રહેશે અને બાકીનો એક તૃતીયાંશ ભાગ એડોનિસ તેની ઇચ્છા પ્રમાણેની સ્ત્રી સાથે રહેશે.” એડોનિસે તે સમયગાળો પણ એફ્રોદિતિ સાથે જ રહેવાનું પસંદ કર્યું.

એડોનિસે હવે એફ્રોદિતિ સાથે પૃથ્વી પર રહેવાનું શરૂ કર્યું. એડોનિસને શિકારનો શોખ હતો, જ્યારે એફ્રોદિતિ સ્વભાવથી શિકારી નહોતી, તેથી તેણે એડોનિસ સાથે રહેવા તેની સાથે વધુ ને વધુ ચાલવાનું શરૂ કર્યું. એફ્રોદિતિ હવે એડોનિસ સાથે વધુ ને વધુ આહ્લાદમાં રહેવા લાગી. તે એડોનિસમય બની ગઈ, પણ અચાનક તેને પોતાની ફરજો યાદ આવી ગઈ. એણે થોડા સમય માટે એડોનિસથી દૂર જતા પહેલાં એડોનિસને ચેતવણી આપી, “કોઈ પ્રાણી પર હુમલો કરીશ નહીં.” આટલું કહી એફ્રોદિતિ જતી રહી પણ ખાનગીમાં તેને દેવીની તાકાત માટે શંકા જતાં તેણે ફરી શિકાર કરવાનું શરૂ કર્યું. એક જંગલમાં તેણે એક વિશાળ સૂવર જોયું. આજ સુધી એણે આટલું મોટું સૂવર જોયું નહોતું. ગ્રીક સંસ્કૃતિ પ્રમાણે સૂવર એ ગ્રીક દેવતા એરેસ જ છે, જે સ્વયં એફ્રોદિતિનો પ્રેમી ગણાય છે. દેવતા એરેસ પણ તેની પ્રેમિકા એફ્રોદિતિ અને એડોનિસના પ્રેમથી ઈર્ષા અનુભવતો હતો. એડોનિસે એફ્રોદિતિની ચેતવણીની અવગણના કરીને જંગલી સૂવર પર હુમલો કર્યો, પણ પ્રાણીની તાકાત આગળ એડોનિસ ટકી શક્યો નહીં. જંગલી સૂવરે એડોનિસનું અંગ કાપી નાખ્યું અને તેને લોહીલુહાણ કરી દીધો. આ વાતની ખબર દેવી એફ્રોદિતિને પડતાં તે દોડી આવી,પરંતુ તે આવે તે પહેલાં જ એડોનિસ મૃત્યુ પામી ચૂક્યો હતો. તેની પાસે હવે વિલાપ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જ્યાં જ્યાં એડોનિસનું લોહી પડયું હતું ત્યાં ત્યાં તેની યાદમાં એફ્રોદિતિએ એનિમોનસ ઉગાડયાં. ગ્રીસમાં એના મૃત્યુસ્થળે પ્રતિ વર્ષ એડોનિસની મૃત્યુતિથિ નિમિત્તે એક ફેસ્ટિવલનું આયોજન થશે એવી વાણી એણે ઉચ્ચારી.

મૃત્યુ પછી એડોનિસ હવે ભૂગર્ભમાં રહેતી પેર્સેફોન પાસે ગયો. દેવી એડોનિસને જોઈ ખુશ થઈ ગઈ. આ વાતની ખબર પડતાં દેવી એફ્રોદિતિ એડોનિસને પાછો મેળવવા ત્યાં પહોંચી ગઈ. બંને દેવીઓ વચ્ચે ફરી ઝઘડો થયો. દેવતા જ્યૂસે હુકમ કર્યો કે, “એડોનિસ છ મહિના એફ્રોદિતિ સાથે રહેશે અને બીજા છ મહિના તે પેર્સેફોન સાથે રહેશે.”

મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’માં એક વીર યોદ્ધા એકિલિસનું નામ આવે છે. તે અડધો માનવી અને અડધો દેવ હતો. આ એકિલિસનાં પિતા અને માતા એવા પેલિયસ અને થેતિસના લગ્નપ્રસંગે પૃથ્વી પરથી અનેક મનુષ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ એકમાત્ર દેવી એરિસને આમંત્રણ નહોતું. આમ છતાં તે આવી. તે તેની સાથે સોનાનું એક સફરજન લઈને આવી હતી. તેની પર એક શબ્દ કોતરેલો હતો, ‘KALLISTER’. એનો મતલબ હતો, ‘સહુથી વધુ શ્વેત વ્યક્તિ માટે.’ એણે એ સફરજન ત્રણ દેવીઓ એફ્રોદિતિ, હેરા અને એથેના સમક્ષ ફેંક્યું. એ ત્રણેય દેવીઓનો દાવો હતો કે તેઓ એકબીજા કરતાં વધુ શ્વેત અને ઊજળી છે અને એ સફરજન પ્રાપ્ત કરવાનો હક ધરાવે છે.

આખોય ઝઘડો દેવતાઓના દેવતા જ્યૂસ સમક્ષ ગયો. તેઓ કોઈનીય તરફદારી કરવા માગતા નહોતા. તેમણે પેરિસ નામના એક સોહામણા યુવકને એ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો. પેરિસ સમક્ષ હાજર થતા પહેલાં ત્રણેય સુંદર દેવીઓએ માઉન્ટ ઇડા (જ્યાં ટ્રોય નગર આવેલું હતું) ખાતે એક ઝરણામાં સ્નાન કર્યું. તે પછી પેરિસે દેવતા જ્યૂસ સમક્ષ એક શરત મૂકી, “ત્રણેય દેવીઓએ મારી સમક્ષ નગ્ન થઈ આવવું પડશે.”

દેવતા જ્યૂસની પરવાનગી બાદ ત્રણેય દેવીઓ વારાફરતી પેરિસ સમક્ષ હાજર થઈ, પરંતુ ત્રણેય દેવીઓ એટલી રૂપાળી હતી કે પેરિસ કોઈ નિર્ણય લઈ ન શક્યો.

ત્રણેય દેવીઓ સમજી ગઈ એટલે તેમણે પેરિસને લલચાવવા રુશ્વત આપવાની ચાલાકી અજમાવી. સહુપ્રથમ દેવી હેરાએ પેરિસને પૃથ્વી પરના એશિયા અને યુરોપ પરનું શાસન આપવાની ઓફર કરી. જ્યારે દેવી એથેનાએ પેરિસને યુદ્ધમાં ડહાપણ, વિજય અને પ્રતિષ્ઠા અપાવવાની ઓફર કરી. જ્યારે દેવી એફ્રોદિતિએ પેરિસને કહ્યું, “હું તને પૃથ્વીની સહુથી વધુ સુંદરતા ધરાવતી સ્ત્રી તારી પત્ની તરીકે આપીશ.”

પેરિસે દેવી એફ્રોદિતિની ઓફર-લાંચ સ્વીકારી અને એફ્રોદિતિને ત્રણેય દેવીઓમાં સહુથી વધુ રૂપાળી શ્વેત દેવી તરીકેનો ચુકાદો આપ્યો. બદલામાં દેવી એફ્રોદિતિએ પેરિસને પૃથ્વી પરની સહુથી વધુ સુંદર સ્ત્રી હેલન આપી. પેરિસના કમનસીબે હેલન સ્પાર્ટાના રાજા મેનેલિયસની પત્ની હતી છતાં તે એને ઉઠાવી આવ્યો હતો અને પોતાની પત્ની બનાવીને ટ્રોયમાં રાખી હતી. પેરિસે દેવી એફ્રોદિતિની તરફેણ કરી હોઈ બાકીની બંને દેવીઓ ક્રોધે ભરાઈ હતી. તે કારણે હેલન માટે ટ્રોજન વોર થયું. ટ્રોયનું પતન થયું, જે પાછળથી મહાકવિ હોમરના ‘ઇલિયડ’ તરીકે વિશ્વસાહિત્યમાં સુપ્રસિદ્ધ છે.

સાહિત્ય સંશોધકોએ પૌરાણિક ગ્રીક માયથોલોજી અને ઇન્ડો-યુરોપિયન દેવી-દેવતાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. ગ્રીક દેવી એફ્રોદિતિને ગ્રીક ભાષામાં ‘Eos’, લેટિન ભાષામાં ‘Aurora’ અને સંસ્કૃત ભાષામાં ‘ઉષામ’ તરીકેનો ઉલ્લેખ છે. જે રીતે એફ્રોદિતિ સમુદ્રના ફીણમાંથી ઉત્પન્ન થઈ હતી તે રીતે ઇન્દ્ર રાજા દ્વારા વ્રાતાનો પરાજય કરી ઉષાને મુક્ત કરી હોવાનો ઉલ્લેખ છે. એ જ રીતે પ્રાચીન સમયમાં દેવી એફ્રોદિતિએ જે ઝરણામાં સ્નાન કર્યું હતું તે બોએતિયા ખાતે હોવાનું મનાય છે. ગ્રીસમાં એથેન્સ અને કોરિન્થ ખાતે દેવી એફ્રોદિતિની યાદમાં ‘એફ્રોદિશિયા’ નામનો મહોત્સવ પણ ઊજવવામાં આવતો હતો. અહીં એફ્રોદિતિનું એક મંદિર પણ હતું, જે ઈ.સ. પૂર્વે ૧૪૬ની સાલની આસપાસ રોમનોએ ધ્વસ્ત કરી દીધું હતું. એ જ કાળમાં આ મંદિરની સાધ્વીઓ સાથે સંભોગ કરવો તે દેવી એફ્રોદિતિની પ્રજાની એક ક્રિયા ગણાતી. એ મંદિર ધ્વસ્ત થયા બાદ તેનું પુનઃ નિર્માણ કદી ન થયું. અલબત્ત, એ સમયગાળામાં એફ્રોદિતિને માનવાવાળો એક આખો વર્ગ હતો. દેવી એફ્રોદિતિના મંદિરની સાધ્વીઓ ‘WOMEN OF ISHTAR’ તરીકે પણ ઓળખાતી હતી. મંદિરમાં ચાલતા આ પ્રોસ્ટિટયુશનની વિધિ બેબિલોન, સાયપ્રસ, સીરિયા અને પેલેસ્ટાઇનના કેટલાક ગ્રંથોમાં અભિમુદ્રિત કરાયેલી છે. અલબત્ત, એથેન્સમાં આવી કોઈ વિધિને સ્થાન નહોતું.

Be Sociable, Share!