Close

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

કભી કભી | Comments Off on ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું
કભી કભી – દેવેન્દ્ર પટેલ

પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારીથી પીડાતી આયશા ચૌધરીની કથા

‘હું મારી બીમારી માટે ઇશ્વરને જવાબદાર માનતી નથી. ભગવાનનો હું આભાર માનું છું કે, તેમણે મને એક સુંદર પરિવાર આપ્યો છે, જે મારી દેખરેખ ખૂબ સારી રીતે રાખે છે. મને ખબર નથી કે હું કેટલું જીવી શકીશ, પરંતુ મારી પાસે જેટલું પણ જીવન છે, તેને હું ખુશીથી જીવવા માંગું છું.’

ઈશ્વરે જેટલા શ્વાસ આપ્યા છે તે ભરપૂર જીવી લેવા માગું છું

આ શબ્દો છે એક ટીનએજ કન્યા આયેશાના. બીજા બાળકોની જેમ આયશાને ભણવાનો, રમવાનો, ફરવાનો, નૃત્ય કરવાનો અને પેઇન્ટિગનો શોખ હતો, પરંતુ આયશા માટે જીવનની ડગર એટલી આસાન ના રહી. એને જન્મથી જ પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બીમારી છે. એમ છતાં પણ દૃઢ ઇચ્છાશક્તિ અને ખુશમિજાજ સ્વભાવના કારણે એણે બીજા લોકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું છે.

અનેક શ્રોતાઓની સમક્ષ એક હોલમાં આયશાએ અભિવ્યક્ત કરેલી કહાણી એના જ શબ્દોમાં : “મારું નામ આયશા ચૌધરી છે. મારી વય ૧૭ વર્ષની છે. મારી કહાણી બીજાઓ કરતાં અલગ છે. જ્યારે હું છ મહિનાની હતી, ત્યારે મને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. એ વખતે ડોકટરોએ કહ્યું હતું કે, શાયદ હું માંડ એક વર્ષ સુધી પણ જીવીશ નહીં, પરંતુ આજે હું તમારી સામે ઊભી છું, અને તમારી સાથે વાત કરી રહી છું. ખરેખર, આ બધું મને એક ચમત્કાર જેવું લાગે છે. મારા ફેફસામાં સંક્રમણની ગંભીર બીમારી છે. એક-એક શ્વાસ લેવામાં જ્યારે સંઘર્ષ કરવો પડે ત્યારે જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. સંક્રમણના કારણે મારાં ફેફસાં બહુ જ નબળાં થઇ ગયાં છે. ગયા વર્ષે નવેમ્બર માસમાં હું એટલી તો બીમાર પડી ગઇ કે કેટલાય મહિનાઓ સુધી હું પલંગમાં સૂતેલી જ રહી. મારું હલનચલન પણ બંધ થઇ ગયું હતું. હું કોઇની યે સાથે વાત કરી શકતી નહોતી. મને લાગતું હતું કે હું કદીયે બેઠી થઇ શકીશ નહીં. સાચે જ એ બહુ જ મુશ્કેલ સમય હતો.

એ વખતે મને લાગતું હતું કે મારો સમય હવે પૂરો થવા આવ્યો છે. પથારીમાં સૂતાં સૂતાં મને ભાતભાતના વિચારો આવતા હતા. મને લાગતું હતું કે હવે મારું મૃત્યુ નજીક છે, અને જલ્દીથી આ દુનિયા છોડી જઇશ. હું અંદરથી ભાંગી પડી હતી. એ વખતે મને એક વિચાર આવ્યો કે મરવાનું તો દરેકને છે. કોઇ પહેલાં જશે, કોઇ મોડેથી, જો મૃત્યુ નિશ્ચિત છે તો તેનાથી ગભરાવાનું શા માટે? એ જ ક્ષણે મેં નિશ્ચય કરી લીધો કે, મારી પાસે જેટલું પણ જીવન છે અને જેટલા પણ દિવસો બાકી છે, હું એ સમય ખુશીથી વીતાવીશ.

મને લાગે છે કે ખુશ રહેવું એક આદત છે. આપણે ઇચ્છીએ તો દરેક પરિસ્થિતિમાં આપણે ખુશીનો મોકો શોધી શકીએ તેમ છીએ. કેટલાક લોકોની પાસે બધું જ હોવા છતાં પરેશાન જ રહે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેઓ મુશ્કેલીઓની વચ્ચે પણ હસતા રહે છે. હવે એ તો તમારે જ નક્કી કરી લેવાનું કે તમે ખુશીથી જીવવા માંગો છો કે દુઃખી થઇને જીવવા માંગો છો. હું જાણું છું કે, મારા માટે જીવન એક સમસ્યા છે, પરંતુ હું સદાયે હસતી રહેવા માંગું છું.

બીમારીના કારણે મારે અવારનવાર મેડિકલ ટેસ્ટ કરાવવા બહાર જવું પડે છે. હોસ્પિટલ અને ડોકટરોના ક્લિનિક પર મારે આંટા મારવા પડે છે. જ્યારે મારી બીમારીની ચર્ચા થાય છે, ત્યારે હું ઉદાસ થઇ જાઉં છું. ગયા વર્ષે હું મારા પરિવાર સાથે મેડિકલ ટેસ્ટ માટે બ્રિટન ગઇ હતી. ત્યાં કલાકો સુધી મારું તબીબી પરીક્ષણ ચાલ્યું. મારા માતા-પિતા ડોકટરો સાથે કલાકો સુધી વ્યસ્ત રહ્યાં. એ બધુ જોઇ હું ઉદાસ થઇ ગઇ. મેં ફરી નિર્ણય કર્યો કે, દુઃખી થવા કરવાં બહેત છે કે, બાકી રહેલી ક્ષણોને હું ખુશીથી જીવી લઉં. કારણકે જીવનની દરેક પળ કિંમતી છે. ખબર નથી આગળ શું થશે?

મને પેઇન્ટિગ કરવું ગમે છે. રંગો મને પસંદ છે. મને બહાર જવાની છૂટ નથી, તેથી હું ઘરમાં જ પેઇન્ટિગ કરું છું. પેટીંગ દ્વારા તમે તમારા મનના ભાવ આસાનીથી અભિવ્યક્ત કરી શકો છો. મારો આ શોખ મારા મનને સાંત્વના બક્ષે છે. મારા ઘરમાં બે નાના ગલુડીયાં છે. મને એમની હરકતો બહુ જ ગમે છે. એમની સાથે રમવાનું મને ગમે છે. હું તેમના વર્તનને ધ્યાનથી જોઉં છું, અને એ બધું કેન્વાસ પર ઉતારી દઉં છું. એ ડોગી મારા પેઇન્ટિગને જોઇ રહે છે એ દૃશ્ય મને બહુ જ ગમે છે. અગર તમને પણ કોઇ શોખ હોય તો જરૃર પૂરો કરો. એ દ્વારા તમે તમારી પોતાની ચિંતાઓથી મુક્ત થઇ શકશો. આમે ચિંતા કરવાથી કોઇ પ્રશ્ન હલ થતો નથી. જે તમારા વશમાં નથી તેનાથી પરેશાન થવાની શું જરૃર?

પહેલાં હુ મારી બીમારીના કારણે બહુ જ પરેશાન રહેતી હતી. હું વિચારતી હતી કે, ઇશ્વરે મને આવું દુઃખ કેમ આપ્યું? મને લાગતું હતું કે, ઇશ્વરે મને સજા કરી છે. હું વિચારતી હતી કે, ઇશ્વરે મારી સાથે જ આમ કેમ કર્યું? પરંતુ આ વિષયની એક બીજી બાજુ પણ છે. ઇશ્વરે મને એક સારો પરિવાર આપ્યો છે. મારા જીવનમાં એવા લોકો પણ છે જે મારી પરવા કરે છે. ખૂબ જ સારી રીતે મારી દેખરેખ રાખે છે. મારા માટે ઇલાજની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે છે. હું એમ પણ વિચારું છું કે, મારો જન્મ કોઇ એવા પરિવારમાં થયો હોત કે જેની પાસે આવી સુવિધાઓ ઉપલબ્ધ ના હોત તો? એ સમયે મારું જીવન કેટલું બધું મુશ્કેલ બની જાત? આપણા દેશમાં એવા લાખ્ખો બાળકો છે, જેમની પાસે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે આવી સુવિધાઓ જ નથી. આપણે એ બધાં માટે પણ વિચારવું જોઇએ. એ બધાની મદદ માટે આગળ આવવું જોઇએ.

સહુથી અગત્યની વાત એ છે કે આપણે આપણા જીવનની સચ્ચાઇને સ્વીકારવી જોઇએ. જીવનની વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઇએ. મને ગંભીર બીમારી છે અને તે હકીકતનો મેં સંપૂર્ણપણે સ્વીકાર કરી લીધો છે. મેં મારી જાતને સમજાવ્યું છે કે, આ બીમારીમાં મારો કોઇ હાથ નથી. બસ હું તો જીવવા માટે સંઘર્ષ કરી શકું છું. કારણકે સંઘર્ષ કરવામાં જ મારો કાબૂ છે. સંઘર્ષ જ મારા હાથમાં છે. જો આ સત્ય સ્વીકારી લેવામાં આવે તો જીવન જીવવું આસાન થઇ જશે. પહેલા તમે જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરી લો, પછી વિચારો કે એ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ શું છે?

હું જાણું છું કે દરેક એક દિવસ મરવાનું છે. આપ આગલા સો વર્ષનો વિચાર કરો, મારી સામે આ હોલમાં જે કોઇ મારી સામે બેઠા છે તેમાંથી સો વર્ષ પછી એક પણ જીવીત નહીં હોય તો પછી હું મારા જીવનની ચિંતા શા માટે કરું? મારી પાછળ તમારે પણ આવવાનુ જ છે. મને ખબર નથી કે, હવે કેટલો સમય હું જીવી શકીશ? પરંતુ ઇશ્વરે મને શ્વાસોશ્વાસ આપ્યો છે. ઇશ્વરે મને જેટલા પણ શ્વાસ આપ્યા છે, તેને હું ભરપૂર જીવી લેવા માંગું છું. સાચું કહું, હવે તો મને મોતનો બિલકુલ ડર લાગતો નથી.’

– અને આયશા ચૌધરીની વાત પૂરી થાય છે. ગંભીર બીમારીઓ અને બીજી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સહુ કોઇ દુઃખીયારા ભાઇ-બહેનોને આયશા-ચૌધરીએ એક સભાખંડમાં વર્ણવેલી આ કથા અર્પણ છે.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!