Close

દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત..

કભી કભી | Comments Off on દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત..

ફિલ્મ ‘મેરા નામ જોકર’નું ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ ગીત તો યાદ છે ને ?

આ ગીત આજે પણ ગુનગુનાવવાનું મન થાય છે. આ ગીતના લેખક છે નીરજ. તેમનું આખું નામ ગોપાલદાસ સક્સેના છે. ‘નીરજ’ તેમનું તખલ્લુસ છે. તેઓ ૯૨ વર્ષના થયા. તા. ૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ તેમનો જન્મ ઈટાવા નજીકના પુરાવલી ગામે થયો હતો. તેઓ માત્ર છ વર્ષની વયના હતા ત્યારે જ તેમના પિતા ગુજરી ગયા. ૧૯૪૨માં તેમણે એટા માં હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં પાસ કરી. શરૂઆતમાં તેમણે ટાઈપિસ્ટની નોકરી સ્વીકારી. તે પછી એક સિનેમાઘરની ચાની દુકાન પર નોકરી કરી. લાંબો સમય બેકાર રહ્યા બાદ દિલ્હી જઈ સફાઈ વિભાગમાં ફરી ટાઈપિસ્ટની નોકરી કરી. ૧૯૫૩માં તેમણે હિંદી સાહિત્યમાં તેમણે પ્રથમ શ્રેણીમાં એમ.એ. કર્યું. મેરઠની કોલેજમાં હિંદી ભાષાના અધ્યાપક તરીકે નોકરી કરી, પરંતુ કોલેજના સંચાલકોએ તેમની પર રોમાંસ કરવાનો આરોપ મૂક્યો. આથી ક્રોધિત થઈ તેમણે અધ્યાપક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તે પછી અલીગઢની કોલેજમાં હિંદીના પ્રાધ્પાયક બન્યા.

ત્યાર બાદ તેઓ કવિ સંમેલનોમાં જવા લાગ્યા. તેમની લોકપ્રિયતા જોઈ મુંબઈના ફિલ્મ નિર્દેશકોએ તેમને ‘નઈ ઉમર કે નઈ ફસલ’ માટે ગીતો લખવા આમંત્રણ આપ્યું. તેમનું ગીત ‘કારવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે’ બેહદ લોકપ્રિય થયું. તે પછી તેમણે લખેલું ગીત : ‘દેખતી હી રહો આજ દર્પણ ના તુમ, પ્યાર કા મુહૂરત નિકલ જાયેગા’ એટલું જ લોકપ્રિય થયું. આ સિવાય ‘ધીરે સે જાના બગિયા મહેંકેગી’, ‘મૈંને કસમ લી’, ‘મેઘા છાયે આધી રાત’, ‘મેરા મન તેરા પ્યાસા’, ‘ઓ મેરી, ઓ મેરી ઓ મેરી શર્મિલી આઓ ના’, ‘ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે’, ‘રંગીલા રે’, ‘રાધા ને માલા જપી શ્યામ કી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.

કવિ નીરજે સેંકડો ગીતો લખ્યાં છે. તેમનાં જે ગીતો આજે પણ સદાબહાર છે તેમાં (૧) કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે (૨) શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ (૩) બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હું… આદમી હૂં આદમી સે પ્યાર કરતા હૂં વગેરેનો સમાવેશ થાય છે.

૧૯૭૨માં ફિલ્મ ‘મેરા નામ જોકર’ના ગીત ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ માટે નીરજને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે ફિલ્મ ‘પહેચાન’ના ગીત ‘બસ યહી અપરાધ મૈં હર બાર કરતા હું’ માટે ૧૯૭૧માં તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો.

૧૯૯૧માં તેમને ‘પદ્મ શ્રી’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ૧૯૯૪માં તેમને યશ ભારતી સન્માન પ્રાપ્ત થયું. ૨૦૦૭માં તેમને ‘પદ્મ ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અનેક ફિલ્મો માટે ગીતો લખ્યાં જેમાં શર્મિલી, મેરા નામ જોકર અને પ્રેમપૂજારી મુખ્ય છે.

કોણ જાણે કેમ પણ એક દિવસ મુંબઈની જિંદગીથી તેમનું મન ઊઠી ગયું. તેઓ ફિલ્મ નગરીને અલવિદા કહી ફરી અલીગઢ પાછા આવ્યા. તે પછી શરાબ, બીડી અને શાયરી તેમના જીવનનાં અભિન્ન સહચારી બની રહ્યા. આજે ૯૨ વર્ષની વયે તેઓ લખનૌના ગોમતીનગર સ્થિત મંત્રી આવાસના ફ્લેટ નં. ૧૫માં નિવાસ કરે છે. તેમણે ઉર્દૂ અને હિંદી બેઉ ભાષાઓમાં ગીતો અને કવિતાઓ લખી છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશના ભાષા સંસ્થાનના અધ્યક્ષ છે.

તેમની શાયરીઓ પણ લોકપ્રિય છે. નીરજને રોજ અનેક પત્રો મળે છે જેમાં ૯૨ વર્ષના આ શાયરની શાયરીઓ પર આફરીન કોલેજ ગર્લ્સના પત્રોનો પણ સમાવેશ થાય છે. નીરજને મળવા આવનાર મુલાકાતીઓમાં ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપરાંત શહેરના યુવાન ફિલ્મ કલાકારોનો પણ સમાવેશ થાય છે. એ બધાંની સમક્ષ તેઓ સહજતાથી જ પેશ આવે છે. તેમના ચહેરા પર ચંચળતા, ચપળતા અને ચમકને બરકરાર રાખ્યાં છે. આજના યુ-ટયૂબ, ફેસબુક, વોટ્સએપ અને ઈ-કવિતાના જમાનામાં પણ કવિ નીરજ આઉટ ઓફ ડેટ થયા નથી.

આટલી ઉંમરે પહોંચ્યા બાદ પણ રોજ સવારે ૮ વાગે ઊઠે છે. દિવસ દરમિયાન તેઓ લોકોને મળતા રહે છે. ફોન પર વાતો કરતા રહે છે. લોકોનો કોલાહલ તેમને ગમે છે. લોકો તેમની પાસે કવિતાઓ સાંભળવા આવે છે. અઠવાડિયામાં ચાર દિવસ તો તેઓ કવિ સંમેલનના મંચ પર નજર આવે છે. ક્યારેક ફૈઝાબાદ, ક્યારેક લખનૌ, ક્યારેક અન્ય કોઈ શહેરમાં કેટલાક મિત્રો તેમને કહે છે : “થોડોક વિશ્રામ તો કરો.” તો નીરજ તેમને કહે છે : “અગર બેઠા તો બેઠ જાઉંગા, ઈસ લિયે બસ ચલને દો. જબ તક મન મેં ઊર્જા હૈં તબ તક ચલને દો.”

સાહિત્યિક પરિભાષામાં કવિ નીરજ શૃંગારના કવિ છે. નીરજની કવિતાઓમાં શૃંગાર રસ ખીલી ઊઠે છે. ક્યારે રિસાવાની વાત હોય તો ક્યારેક મનાવવાની. ક્યારેક ગોરીના રૂપની પ્રશંસા તો ક્યારેક પ્રણયની મહેંક. આ બધી સંવેદનાઓના કારણે નીરજને આ સદીના મહાન શૃંગાર કવિઓ પૈકીના એક માનવામાં આવે છે, પરંતુ કવિ નીરજ સાહિત્યકારોની આ પદવીનો સ્વીકાર કરતો નથી. તેઓ કહે છે કે, “હું શૃંગારનો નહીં, પરંતુ દર્શનનો કવિ છું. એ વાત સાચી છે કે, મારી પ્રેમ કવિતાઓને વધુ લોકપ્રિયતા મળી છે, પરંતુ એ સિવાય પણ મેં ઘણું લખ્યું છે. મેં શૃંગારના પ્રતીકને લઈને દર્શન લખ્યું છે. લો આ રહી તેમની કેટલીક પંક્તિઓ :

“ચલ ચલે જાયેંગે લૌટ કે સાવન કી તરહ…

યાદ આયેંગે પ્રથમ પ્યાર કે ચુંબન કી તરહ..

જિક્ર જિસ દમ ભી છોડા ઉન કી ગલી મેં મેરા…

જાને શરમાએ ક્યાં યહ

ગાંવ કી દુલ્હન કી તરહ…

ઉંમરના કારણે નીરજ બીમાર રહે છે. દવાઓ ખાતાં રહે છે. તેઓ કહે છે : “મૈં તો બીમાર હી પૈદા હુઆ થા, ઈસ લિયે આજ ભી બીમાર હું…. મૈં તન સે ભોગી ઔર મન સે યોગી હૂં. ઈસ લિયે તન સે કષ્ટ હૈ લેકિન મન મુક્ત હૈં.”

તેઓ તેમની યાદગાર સ્મૃતિઓ વિશે પૂછવામાં આવે તો તેઓ કહે છે : “મને મારી પહેલી પત્ની યાદ આવે છે. તેનો હાસ્ય-પરિહાસવાળો સ્વભાવ મને યાદ આવે છે.”

અને ક્યારેક પૂછવામાં આવે તો તેમના પ્રેમ સંબંધોને પણ યાદ કરે છે. ખાસ કરીને તેમનો એક પહેલો પ્રેમ… ! અલબત્ત, પ્રેમની પરિભાષા કરતા તેઓ સ્પષ્ટ કહે છે : “પ્રેમ વાસના સે શુરૂ હોતા હૈં. હમારે શાસ્ત્રો મેં કામ ઔર કામાયની હૈં. પ્રેમ કહીં નહીં લિખા હૈં.”

આવું કહેવાની કોઈની હિંમત છે ખરી ?

એટલા જ માટે નીરજ એ નીરજ છે.

નીરજ માટે ખૂબીની વાત એ છે કે, ૯૨ વર્ષની વયે પણ તેમનું દિમાગ સ્વયં એક મોબાઈલ ડિરેક્ટરી છે. તેમને કમ સે કમ ૧૨૦૦ લોકોના ટેલિફોન નંબર યાદ છે. સેંકડો ફિલ્મી ગીત અને અગણિત કવિતાઓ લખ્યા બાદ પણ તેઓ કહે છે કે, મૈંને અભી અપની કાલજયી કી રચના નહીં લિખી. બસ, અબ યે શરીર થોડા સાથ દે દે તો અપની કાલજયી રચના લિખ લૂં.

આવી છે કવિ નીરજની વાતો.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!