Close

મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

કભી કભી | Comments Off on મારા પતિ ઈન્દિરાના પ્રેમમાં પડયા તે પહેલાં સારા હતા

એનું નામ શંકર ઉર્ફે જયશંકર છે.

૩૩ વર્ષની વયનો આ ટ્રક ડ્રાઈવર અત્યાર સુધીમાં ૩૩ ખૂન અને એટલાં જ બળાત્કાર કરી ચૂક્યો છે. કર્ણાટક અને તામિલનાડુની પોલીસને કેટલાયે સમયથી તેની તલાશ હતી.

શંકર તામિલનાડુના પનાંગકટ્ટુરાઈ નામના નાનકડા ગામનો વતની છે. આ ગામ સાલેમ જિલ્લામાં આવેલંું છે. પોતે પરણેલો હોવા છતાં ગામમાં રહેતી ઈન્દિરા નામની એેક પરિણીત સ્ત્રીના તે પ્રેમમાં પડી ગયો હતો. ઈન્દિરાનો પતિ બહાર ગયેલો હોય ત્યારે શંકર તેના ઘેર પહોંચી જતો. ઈન્દિરાનો પતિ તામિલનાડુ પોલીસ ડિપાર્ટમેન્ટનો પોલીસ કોન્સ્ટેબલ છે. ઈન્દિરાએ એક દિવસ શંકરને કહ્યું: ”મને મારો વર ગમતો નથી. તું હવે મારી સાથે લગ્ન કરી લે.” શંકર ઈન્દિરા સાથે પરણવા માંગતો નહોતો. ઈન્દિરા તેની પર લગ્ન માટે સતત દબાણ કરતી. એક દિવસ શંકરે કહ્યું: ”ચાલ ઈન્દિરા, આપણે દૂર દૂર ક્યાંક ફરવા જઈએ.”

શંકર ઈન્દિરાને જંગલમાં એકાંત સ્થળે લઈ ગયો. પહેલાં તેની પર બળાત્કાર કર્યો અને તે પછી ધારદાર ચાકુ ઈન્દિરાની છાતીમાં ભોંકી દીધું. ઈન્દિરા લોહીલુહાણ થઈ ત્યાં જ ઢળી પડી. લાશને જંગલમાં છોડીને શંકર ભાગી ગયો.

ઈન્દિરા ઘેર ના આવતાં તેના પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીની શોધ શરૂ કરી, ઈન્દિરાની લાશ જંગલમાંથી મળી આવી. ગામના કેટલાક લોકાએ ઈન્દિરા અને શંકરને સાથે જંગલ તરફ જતા જોયા હતા. ઈન્દિરાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ શકના આધારે શંકરને પકડવા તેના ઘેર જઈ, પણ શંકર ભાગી છૂટયો હતો. ઘરમાં તેની પત્ની પરમેશ્વરી અને ત્રણ દીકરીઓ યમુના, થેનીમોઝી અને શ્રીમતિ એટલાં જ હાજર હતા.

એક પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું ખૂન થયું હોય તામિલનાડુ પોલીસને શંકરની તપાસ માટે પૂરી તાકાત લગાવી દીધી અને એક દિવસ તે પકડાઈ ગયો. તેને કોઈમ્બતુરની જેલમાં પૂરી દઈ તેની સામે કોર્ટમાં હત્યા અને બળાત્કારનો કેસ મૂકી દીધો. પોલીસ દર અઠવાડિયે શંકરને પોલીસવાનમાં બેસાડી કોર્ટમાં લઈ જતી હતી. એક દિવસ કોર્ટમાં સુનાવણી પત્યા પછી પોલીસ તેને જેલમાં પાછી લઈ જતી હતી ત્યારે શંકર પોલીસને થાપ આપી ભાગી જવામાં સફળ થયો.

એ પછી શંકર કદી તેના ઘેર પાછો ના ગયો. પોલીસની નજરમાંથી બચવા તે સતત છુપાતો રહ્યો પરંતુ ખાસ કરીને તે તામિલનાડુના તુમકુર અને ચિત્તાદુર્ગ જિલ્લામાં ગુપ્ત સ્થળે સંતાતો રહ્યો.

અલબત્ત આ દરમિયાન હાઈવે પર એકલ દોકલ ફરતી શ્રમજીવી મહિલાઓને તેની કિલિંગ ઈન્સ્ટિંક્ટનો શિકાર બનાવતો રહ્યો. એકાંતમાં ક્યાંય પણ કોઈ સ્ત્રી દેખાય તો તેની સાથે વાતો કરતો પછી તેને ખાવાનું આપી લલચાવતો, એકાંત સ્થળે તેની પર બળાત્કાર કરતો અને તે પછી ધારધાર ચાકુ તે સ્ત્રીની છાતીમાં ઘુસાડી દેતો. પોલીસને થાપ આપી ભાગી છૂટયા બાદ તેણે તુમકુર જિલ્લાના નેલાનીલ ગામની ત્રણ સ્ત્રીઓ પર બળાત્કાર કરી તેમની હત્યા કરી નાંખી. એણે એ ત્રણેય સ્ત્રીઓના ઘર પણ સળગાવી દીધા. ગામમાં હાહાકાર મચી ગયો પરંતુ શંકર ભાગી છૂટયો.

એ પછી એ જિલ્લો અને ગામ બદલી નાંખતો. નવા નવા ગામોના નિર્જન રસ્તા તેના માટે ગુનાખોરીના આદર્શ સ્થળ હતા. એક પછી એક એમ અલગ અલગ સ્ત્રીઓને પકડતો. બળાત્કાર કરતો અને તેમને મારી નાખતો. તેની આ ગુના પદ્ધતિના આધારે અત્યાર સુધીમાં તે ૧૯ સ્ત્રીઓની હત્યા કરી ચૂક્યો હતો.

હવે તેણે બીજી ચાર સ્ત્રીઓની એ જ પદ્ધતિથી હત્યા કરી નાંખી. બધી જ સ્ત્રીઓ સામાન્ય અને ગરીબ પરિવારની હતી. શંકર એક સિરિયલ ક્લિર બની ગયો હતો. હવે તેણે તામિલનાડુ અને કર્ણાટકને જોડતો નેશનલ હાઈવે પક્ડયો. હાઈવેની આસપાસ સુઈ રહેતી ગરીબ સ્ત્રી મજદૂરોની તો હત્યા કરવા લાગ્યો. છેલ્લે છેલ્લે તેણે બળાત્કાર પછી તે સ્ત્રીનું ગળું ધારદાર ચાકુથી કાપી નાખતો. શંકર ટ્રક ડ્રાઈવર હોઈ તે તામિલનાડુ અને કર્ણાટકના તમામ ધોરી માર્ગો અને તેને જોડતા એપ્રોચ રોડ્સથી તે વાકેફ હતો. હવે તેની ગુનાખોરીનો આંક ૩૦ જેટલી સ્ત્રીઓ પર બળાત્કાર અને હત્યા સુધી પહોંચી ગયો. સરકારે તામિલનાડુ ઉપરાંત કર્ણાટકની પોલીસને પણ એલર્ટ કરી દીધી. પોલીસ આ સિરિયલ ક્લિરની ખોજ તીવ્ર બનાવી દીધી.

એક દિવસ અજાણતા જ પોલીસને એક કડી મળી. શંકર સુંદરમ્ નામના એક ટ્રક ડ્રાઈવરને તેનો મોબાઈલ ફોન વેચ્યો હતો. શંકરે આ મોબાઈલ ફોન ચોરેલો હતો. એણે જેનો ફોન ચોર્યો તે સેલફોનનો માલિક રંગાસ્વામી નામનો એક માણસ હતો. શંકરે રંગાસ્વામીની પત્ની પર બળાત્કાર કરી રંગાસ્વામીનો મોબાઈલ ફોન લઈ ભાગી ગયો હતો. રંગાસ્વામીની પત્નીનું નામ મરાક્કા હતું. શંકરે મરાક્કા પર બળાત્કાર કર્યો પરંતુ ગમે તે કારણોસર તેની હત્યા કરી નહીં. પોલીસે મરાક્કાની ફરિયાદ લીધી અને મરાક્કાના પતિનો મોબાઈલ લઈ શંકર ભાગી ગયો હોવાનું જણાવ્યું. પોલીસે મોબાઈલ નંબર અને તેના આઈએમઈઆઈ નંબરના આધારે મોબાઈલ ફોન ટ્રેસ કર્યો. હત્યારા શંકરે આ ફોન સુંદરમ્ નામના ડ્રાઈવરને વેચ્યો હોઈ પોલીસે મોબાઈલ ટ્રેસના આધારે ફોનનું લોકેશન ટ્રેસ કરી સુંદરમને પક્ડયો. સુંદરમે શંકરના ચહેરાનું વર્ણન કર્યું તે આધારે તેનો સ્કેચ બનાવવામાં આવ્યો. પોલીસ પાસે શંકરની પોલીસ સ્ટેશનમાં લેવાયેલી તસવીર હતી. સુંદરમે શંકરની તસવીર જોઈ તેને ઓળખી બતાવ્યો કે આ જ માણસે મને ફોન વેચ્યો છે. મરાક્કાએ પણ તસવીર જોઈ તેની પર બળાત્કાર કરનાર શંકરને ઓળખી બતાવ્યો. એ પછી શંકર મોસ્ટ વોન્ટેડ સિરિયલ કિલરની તસવીરો હાઈવેની હોટલો પર ઠેર ઠેર લગાડી દેવામાં આવી. એ તસ્વીરોના આધારે કોઈએ પોલીસને શંકર જ્યાં ફરતો હતો તે સ્થળની બાતમી પોલીસને આપી દીધી. એક રાત્રે શંકર હાઈવે હોટલના એક ખાટલામાં સૂતો હતો ત્યાં જ પોલીસ પહોંચી ગઈ અને તામિલનાડુ પોલીસે શંકરને પકડી લીધો. અત્યાર સુધીમાં તે સાલેમ, ધર્મપુરી, નમક્કલ, તિરુપુર, કોયાઈ, તિરુચી અને ક્રિશ્નાગીરી જિલ્લાની ૬ જેટલી સ્ત્રીઓને તે તેની ગુનાખોરીનો શિકાર બનાવી ચૂક્યો હતો. આ બધું જ તે તેની ૩૦ વર્ષની વયમાં કરી ચૂક્યો હતો. અલબત્ત, તેને પક્ડયો કર્ણાટકની પોલીસે. તે પકડાયો કર્ણાટકના બિજાપુર જિલ્લાના એલાસી ગામ પાસેથી.

હત્યારા શંકરની ધરપકડ તો થઈ ગઈ પરંતુ તેની પત્ની પરમેશ્વરી તેના પતિએ આટલી બધી હત્યાઓ કરી હોય તે માનવા તૈયાર નથી. બીજી બાજુ શંકરે ૨૭ સ્ત્રીઓની હત્યાઓ કરી હોવાનું કબૂલી લીધું છે પરંતુ તેની પત્ની પરમેશ્વરી કહે છેઃ ”અમારા લગ્ન થયાં ને ૧૦ વર્ષ થયા પરંતુ મારા પતિએ મને કદી હળવો માર પણ માર્યો નથી. મારા પતિએ મને કદી પણ નામથી બોલાવી નથી. તેઓ ઈન્દિરા સાથે પ્રેમમાં પડયા તે પહેલાં એકદમ સારા હતા. મારા પતિ કદી શરાબ પીતા નથી. કદી ઊંચા અવાજે બોલતા નથી. મારા પતિએે બે જ ગુના કર્યા છે. એક તો તેમણે પોલીસ કોન્સ્ટેબલની પત્ની ઈન્દિરા સાથે તેમને આડોસંબંધ હતો અને બીજો ગુનો તે જેલમાંથી ભાગી ગયા તે. એ સિવાય એમણે કોઈ ગુનો કર્યો નથી !

બિચારી પરમેશ્વરીને ખબર નથી કે તેનો પતિ એક સાઈકોપેથ છે. આવા સાઈકોપેથ લોકો શાંત અને બુદ્ધિશાળી પણ હોય છે, કોઈ પણ પરિસ્થિતિને તેઓ પોતાની તરફેણમાં પલટી શકે છે. શંકર ઉર્ફે જયશંકરની ધરપકડ બાદ તામિલનાડુ અને કર્ણાટકની પોલીસે હાશ અનુભવી છે પરંતુ સિરિયલ ક્લિર શંકર મનોવૈજ્ઞાાનિકો માટે એક અભ્યાસનો વિષય છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!