Close

સૌંદર્ય સમ્રાજ્ઞી- ઝુબૈદા મીનાકુમારી ને મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતાં

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી- ઝુબૈદા મીનાકુમારી ને મધુબાલા પણ જેમની પાસે ટિપ્સ લેવા જતાં
આજની  પેઢી દીપિકા પાદુકોણને ઓળખે છે,  કંગના રનૌતને ઓળખે છે, પ્રિયંકા ચોપરાને ઓળખે છે, કરીના કપૂરને ઓળખે છે, પણ ઝુબૈદાનું નામ પહેલી જ વાર સાંભળ્યું હશે.
ઝુબૈદાનું આખું નામ ઝુબૈદા બેગમ ધનરાજગીર હતું. તે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની હીરોઇન હતી. ૧૯૧૧માં જન્મેલી આ અભિનેત્રીના અવસાનને ૨૭ વર્ષ પૂરાં થયાં. ઝુબૈદા બેગમ માત્ર એક્ટ્રેસ જ નહોતી. તે એક નવાબ પરિવારની પ્રિન્સેસ પણ હતી. તેનો જન્મ ગુજરાતના સુરત ખાતે થયો હતો. તે સચિનના નવાબ સીદી ઇબ્રાહીમ મુહમ્મદ યાકુત ખાનની દીકરી હતી. તેની માતાનું નામ ફાતિમા બેગમ હતું. ઝુબૈદાને બે બહેનો હતી, સુલતાના અને શેહઝાદી.
અદ્ભુત સૌંદર્ય ધરાવતી ઝુબૈદા બેગમની માતા પણ’સાઇલન્ટ’ ફિલ્મોની અભિનેત્રી હતી. ઝુબૈદા એક પ્રતિષ્ઠિત નવાબ પરિવારની શેહજાદી  હોવા છતાં એણે એની માતાના પગલે ફિલ્મોમાં આવવાનું પસંદ કર્યું હતું. અલબત્ત, એ જમાનામાં યુવતીઓ માટે ફિલ્મોમાં કામ કરવું તે પ્રતિષ્ઠાપાત્ર ગણાતું નહોતું. તેના પિતા નવાબ સચિન  તરીકે ઓળખાતા હતા. મા ફાતિમા બેગમ સાઇલન્ટ ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે ત્રણેય રૂપાળી બહેનોને ફિલ્મોમાં કામ કરવા ઓફર આવતી હતી. પણ પિતા એનો ઇનકાર કરી દેતા હતા, પરંતુ એકવાર પૃથ્વીરાજ કપૂર અને નિર્દેશક અરદેશર ઈરાનીએ નવાબ સાહેબને મનાવી લીધા અને તેઓ પોતાની પુત્રીઓ પણ ફિલ્મોમાં કામ કરે તે માટે સંમત થઈ ગયા.
ઝુબૈદા બેગમે માત્ર ૧૨ વર્ષની વયે જ એ વખતની ‘કોહિનૂર’ ફિલ્મ માટે કરાર કર્યો. એ મૂંગી ફિલ્મ હતી. એ પછી ઝુબૈદા બેગમની બંને બહેનોએ પણ ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. ૧૯૨૦ સુધી ઝુબૈદા બેગમ તેની બહેનો સાથે ફિલ્મજગત પર વર્ચસ્વ જમાવતી રહી, અલબત્ત એ બધી જ સાઇલન્ટ ફિલ્મો હતી. ૧૯૨૫ સુધી ઝુબૈદા બેગમે નવ ફિલ્મો માટે કરાર કર્યા હતા. એ બધી જ ફિલ્મો રિલીઝ થઈ હતી. તેમાંની મુખ્ય ફિલ્મો ઃ (૧) દેવદાસ, (૨) દેશ કા દુશ્મન અને (૩) કાલા ચોરને વર્ષો સુધી લોકો યાદ કરતા રહ્યા. આ ત્રણેય ફિલ્મો હિટ રહી. તે પછી ઝુબૈદા બેગમની બંને બહેનોએ પણ એની સાથે જ ફિલ્મમાં કામ કર્યું. ‘કલ્યાણ અજીનાહ’ નામની એ સાઇલન્ટ ફિલ્મ લંડનના વેમ્બલી એક્ઝિબિશનમાં પણ રજૂ થઈ અને ઍવૉર્ડ જીતી ગઈ. તે પછી બાબુરાવ મિસ્ત્રીની ફિલ્મ ‘સિંહગઢ’માં પણ તેણે કામ કર્યું.
આ સમયગાળા દરમિયાન ફાતિમા બેગમ અને તેમની પુત્રીઓ દેશના ફિલ્મી જગત પર વર્ચસ્વ જમાવતી હતી. ૧૯૨૭માં ફાતિમા બેગમે કેટલીક ફિલ્મોનું નિર્માણ કર્યું, જેમાં (૧) બુલબુલ, (૨) લયલા મજનૂ, (૩) નણંદ ભોજાઈ અને (૪) બલિદાનનો સમાવેશ થાય છે.
‘બલિદાન’ એક એવી ફિલ્મ હતી, જે યુરોપમાં પ્રદર્શિત થઈ. ધી સિનેમોગ્રાફ કમિટી એસોસિયેશને ‘બલિદાન’ ફિલ્મની પ્રશંસા કરી. આ ફિલ્મની કથા બંગાળના એક ધાર્મિક સ્થળમાં અપાતાં પશુઓના બલિદાન પર આધારિત હતી. આ ફિલ્મની મૂળ કથા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની લખેલી હતી. ભારતીય ફિલ્મ બોર્ડના યુરોપિયન સભ્યોએ આ ફિલ્મને યુરોપમાં પ્રદર્શિત કરવા ભલામણ કરી હતી. ‘બલિદાન’ ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઝુબૈદા બેગમ અને મુખ્ય કલાકાર અભિનેતાઓ માસ્ટર વિઠ્ઠલ તથા જાલ ખંભાતા હતા.
તે પછી ૧૯૩૧માં પહેલી જ વાર ભારતમાં એક બોલતી ફિલ્મ બની. એ ટોકી ફિલ્મનું નામ ‘આલમ આરા’ તેની મુખ્ય અભિનેથી ઝુબૈદા બેગમ હતી. તા. ૧૪ માર્ચ, ૧૯૩૧ના રોજ ‘આલમ આરા’ ફિલ્મ મુંબઈના ‘મેજિસ્ટિક સિનેમા’માં પ્રદર્શિત થઈ. આમ, ઝુબૈદા બેગમ તે ભારતની પહેલી સાઉન્ડ ટ્રેક ધરાવતી બોલતી હિન્દી ફિલ્મની પહેલી અભિનેત્રી બની ગઈ. આમ, ઝુબૈદા બેગમ એક એવી અભિનેત્રી રહી જેણે મૂંગી ફિલ્મોમાં અને બોલતી ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘આલમ આરા’ ફિલ્મ ખુદ ઝુબૈદા બેગમ માટે એક ટર્િંનગ પોઈન્ટ સાબિત થઈ. તેની કારકિર્દીની આ સૌથી મોટી હિટ ફિલ્મ હતી. ‘આલમ આરા’ ફિલ્મની સફળતા બાદ ઝુબૈદા બેગમની માગ વધી ગઈ અને એ જમાનામાં સૌથી વધુ વેતન પ્રાપ્ત કરતી મહિલા બની ગઈ, એ જમાનામાં અભિનેતા કે અભિનેત્રીએ જે તે ફિલ્મ કંપનીમાં પગાર પર કામ કરવું પડતું હતું.
૧૯૩૦થી ૧૯૪૦ દરમિયાન ઝુબૈદા બેગમે ઘણી હિટ ફિલ્મો આપી. એ જમાનામાં એ હોટ એક્ટ્રેસ ગણાવા લાગી હતી. એ કારણે એના વિશે ઘણી નિષેધાત્મક વાતો ચાલતી હોવા છતાં તે ફિલ્મોમાં કામ કરતી રહી. ઝુબૈદા બેગમના કેટલાક નિર્દેશકો સાથેના સંબંધો અંગે વાતો ઘૂમરાતી હતી, પરંતુ ઝુબૈદા બેગમે તેની પરવા કર્યા વિના અભિનય કરવાનું ચાલુ રાખ્યું.
ઝુબૈદા બેગમે ‘શુભદા’, ‘ઉત્તરા’ અને ‘દ્રૌપદી’ ફિલ્મમાં કામ કરી તેના અભિનય ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનું એક વધુ પીછું ઉમેર્યું. ૧૯૩૪માં ઝુબૈદાએ ‘મહાલક્ષ્મી’ અને ‘ગુલે સોનબાર’ તથા ‘રસિક એ લયલા’ જેવી હિટ ફિલ્મો આપી. અલબત્ત, આ એના જીવનનો બહુ ખરાબ સમય હતો. નેગેટિવ ગોસિપના કારણે કેટલાક નિર્દેશકો સાથેની કેટલીક ફિલ્મો એણે છોડવી પડી, જે બીજી અભિનેત્રીઓના ફાળે ગઈ.
૧૯૫૦ સુધી તે કામ કરતી રહી. તેની છેલ્લી ફિલ્મ ‘નિર્દોષ અબલા’ હતી. એ ફિલ્મની કથા અનેક પ્રશ્નોનો સામનો કરતી એક નિઃસહાય સ્ત્રીના જીવન પર આધારિત હતી. વાસ્તવમાં ઝુબૈદા બેગમના જીવનની કથા પણ એ ફિલ્મની કથા સાથે મળતી આવતી હતી.
એ પછી એની ઘણી ફિલ્મો માટે ઓફર્સ આવતી રહી, પરંતુ તે એ બધી ફિલ્મો સ્વીકારવા ઇનકાર કરતી રહી.
એ સમયગાળા બાદ ઝુબૈદા બેગમે ધનરાજગીર ગ્યાન બહાદુર સાથે લગ્ન કરી લીધાં. જેઓ હૈદરાબાદના શાસકો  પૈકીના એક હતા. આ લગ્ન બાદ ઝુબૈદાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ હુમાયુ ધનરાજગીર, ઝુબૈદાનાં પૌત્ર-પૌત્રીઓમાં નિખિલ ધનરાજગીર, અશોક ધનરાજગીર, રિયા પિલ્લાઈ અને કરેન નીનાનો સમાવેશ થાય છે.
લગ્ન બાદ ઝુબૈદાએ મોટા ભાગનું જીવન મુંબઈ ખાતેના ધનરાજ મહેલ પેલેસમાં શાંતિપૂર્વક વિતાવ્યું. એ સમયગાળા દરમિયાન સુરૈયા, મીનાકુમારી, મધુબાલા, નરગિસ અને વહીદા રહેમાન પણ ઝુબૈદાને મળતી રહી અને અભિનયકળા અંગેની ટિપ્સ મેળવતી રહી, જે પાછળથી સ્વયં ખુદ એક લેજન્ડ બની રહી. ૧૯૮૮માં ઝુબૈદાનું મુંબઈ ખાતે અવસાન થયું.
ઝુબૈદા લેજન્ડરી અભિનેત્રીઓ માટે પણ એક રોલ મોડેલ હતી. હવે નવી. પેઢી તો ઝુબૈદા બેગમને ઓળખતી નથી, પરંતુ હજુ થોડાક એવા લોકો છે, જે ઝુબૈદાને યાદ કરે છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!