કભી કભી- દેવેન્દ્ર પટેલ
બ્યૂટીક્વીન સાયરાબાનુ તેમના પતિ વિશે કહે છે : “ઐસે હૈ મેરે સાહબ !”
તા. ૧૧મી ડિસેમ્બર એક્ટર દિલીપકુમારનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ૯૦ વર્ષના થશે. સાયરાબાનુ ૬૮ વર્ષનાં છે. પાછલું વર્ષ દિલીપ સાહેબ માટે અનેક મિત્રો ગુમાવવાના કારણે દુઃખભર્યું વર્ષ રહ્યું. એ કારણે દિલીપ સાહેબનો આવી રહેલો જન્મ દિવસ એક નાનું જ ઉજવણી પર્વ હશે. દિલીપ સાહેબે ગુમાવેલા મિત્રોમાં શિવસેનાના બાલ ઠાકરે, પૂર્વ મંત્રી એન.પી.કે. સાલ્વે, ફિલ્મ મેકર યશ ચોપરા, રાજેશ ખન્ના અને દારા સિંગનો સમાવેશ થાય છે.
ટ્રેજેડીકિંગ દિલીપકુમાર માટે અંગ્રેજીમાં ‘થેસ્પીઅન’ શબ્દ વપરાય છે. દિલીપકુમાર બોલિવૂડના એક્ટર્સના એક્ટર છે. અભિનયમાં માઉન્ટ એવરેસ્ટ જેવી ઊંચાઈ ધરાવતા દિલીપકુમાર સાથે કોઈની યે સરખામણી થઈ શકે નહીં. એમના સમયમાં તેઓ વર્ષમાં એક જ પસંદગીની ફિલ્મ જ કરતા અને શ્રેષ્ઠ ફિલ્મો જ કરતા. આજના અભિનેતાઓ માટે એક્ટિંગની ભાષા, લિપિ, વ્યાકરણ અને વ્યુત્પત્તિ એ બધું માત્ર દિલીપકુમાર પાસેથી જ શીખી શકાય. એક્ટિંગમાં દિલીપકુમારે જે પ્રમાણ આપ્યાં છે તેને આજ સુધી એક પણ એક્ટર વટાવી શક્યો નથી.
દિલીપકુમાર વિશે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, તેઓ અદ્ભુત વક્તા પણ છે. હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી એ ત્રણેય ભાષાઓ પર તેમનો જબરદસ્ત કાબૂ છે. જેમણે સ્ટેજ પર દિલીપકુમારને સાંભળ્યા છે તેઓ તેમના વાકતૃત્વથી પ્રભાવિત થયા વિના રહી શક્યા નથી.
એ વાત જાણીતી છે કે, એક જમાનામાં દિલીપકુમાર અને મધુબાલા એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ મધુબાલાના પિતા તેમની દીકરીને પૈસા કમાવાનું સાધન સમજતા હોઈ મધુબાલા અને દિલીપકુમારનાં પ્રણયને આગળ વધવા દીધો નહોતો. તે પછી દિલીપકુમાર તેમના કરતાં અડધી ઉંમરનાં સાયરાબાનુ સાથે પરણી ગયા હતા. દિલીપકુમાર ૪૪ વર્ષના હતા ત્યારે સાયરાબાનુ ૨૨ વર્ષનાં હતાં. આજે આ દંપતી શાંતિપૂર્ણ અને અત્યંત પ્રાઈવેટ લાઈફ જીવી રહ્યું છે. દિલીપકુમાર પોતાની પ્રાઈવસી માટે અત્યંત સજાગ છે. દિલીપકુમાર બહુધા ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આટલાં વર્ષો બાદ પણ દિલીપકુમારનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને સાયરાબાનુ ચાર્મિંગ લાગે છે. સાયરાબાનુ અને દિલીપકુમારના લગ્નજીવનને ૪૬ વર્ષનાં વહાણાં વાયાં છે. સાયરાબાનુ કહે છે : “હું જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે દિલીપ સાહેબના પ્રેમમાં પડી ગઈ હતી. તેમની સાથેના રોમાંસ પછી વાસ્તવિક જિંદગીમાં મારે બીજું કાંઈ જોવું જ પડયું નથી. જે દિવસે દિલીપ સાહેબે મને પ્રપોઝ કર્યું તે એક મહાન ક્ષણ હતી. મારી જિંદગીમાં તેઓ સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ છે. જાહેરમાં તેમણે મને કદીયે તેમનો હાથ પકડવા દીધો નથી, પરંતુ ૪૬ વર્ષના અમારા દાંપત્યજીવને ઘણું બધું બદલી નાખ્યું છે. હવે અમે એકબીજા માટે જ જીવીએ છીએ. તેઓ મારા સરતાજ છે. ભગવાને તેમને એક સુવર્ણમય વ્યક્તિ તરીકે જ જન્મ આપ્યો છે. તમે બધા જે કહો છો તેમ તેઓ મારા માટે મારા પતિ પરમેશ્વર છે.
સાયરાબાનુ દિલીપકુમારને ‘સાહબ’ કહીને સંબોધે છે. સાયરાબાનુ પાસે પુરાણા ફોટોગ્રાફ્સનું એક આલબમ છે. સાયરાબાનુ કહે છે : “સાહબ” કે જેમણે મોહંમદ રફીના અવિસ્મરણીય ગીતો માટે સ્ક્રિન પર પોતાનો ચહેરો આપ્યો છે તે મારા ‘સાહબ’ સ્વયં એક સુંદર ગાયક છે. ‘ગોપી’ ફિલ્મમાં તેમણે સ્ક્રિન પર ‘સુખ કે સબ સાથી’ ભજન ગાયું છે, પરંતુ ‘સાહબ પોતે પણ મોહંમદ રફીના ગાયેલા એ ગીતને એમના અદ્ભુત સ્વરમાં ગાઈ શકે છે. એ જ રીતે કલ્યાણજી આણંદજી જ્યારે કોઈ ગીતની ધૂન બનાવતા હોય ત્યારે દિલીપ સાહેબ ખુદ હાર્મોનિયમ પર તૈયાર થતી રચનામાં પોતે ગાઈને સાથ આપતા હતા. રફી સાહેબે ગાયેલા પ્રણયગીતો આજે પણ અમારા ઘરમાં ગૂંજે છે.”
સાયરાબાનુ કહે છે : “અંતાક્ષરીમાં તો દિલીપ સાહેબને પરાજિત કરી શકો નહીં એટલાં બધાં જૂનાં ગીતો તેમને કંઠસ્થ છે એટલું જ નહીં, પણ ક્યાંય પણ કોઈ પણ પ્રસંગે તેઓ ઉચ્ચારી શકે તેવી કાવ્ય પંક્તિઓ તેમને યાદ છે. સાહેબના હોઠ પર કેટલાયે ઊર્દૂ અને ર્પિશયન કાવ્યો પણ રમતાં રહે છે. તેઓ જ્યારે એ કાવ્યોની પંક્તિઓ ગણગણે છે ત્યારે સાંભળનારને તેમના અવાજ અને શબ્દોમાં એક પ્રકારની સ્વર્ગીય અનુભૂતિ થતી હોય છે.”
સાયરાબાનુ કહે છે : “મારા હસબન્ડ જ્યારે જ્યારે પણ વિદેશ ગયા ત્યારે સામે બેઠેલા શ્રોતાઓને મુગ્ધ કરી દેતા હતા અને તે પ્રસંગોની વિડિયોઝ આજે પણ મારી પાસે ઉપલબ્ધ છે. તેઓ હિન્દી અને અંગ્રેજી એમ બેઉ ભાષામાં મૌલિક રીતે બોલી શકતા હતા. એ વક્તવ્ય વખતે તેઓ ડાયલોગ ડિલિવરી કરતા હોય તેમ લાગતું હતું.”
તેઓ કહે છે : “તેઓ બહારથી ગંભીર પુરુષ લાગે છે, પરંતુ તેમની જાણીતી આ ઇમેજની વિરુદ્ધ તેઓ મસ્તીલા-મોજીલા અને રમૂજ ઉછાળતા વ્યક્તિ છે. તેઓ જ્યારે પણ મિત્રો કે પરિવાર સાથે બેઠા હોય ત્યારે જુદા જુદા ઉદાહરણો ટાંકી બધાને હસાવતા પણ રહ્યા છે અને તેમની બુદ્ધિની તેજસ્વિતાથી બધાને પ્રભાવિત પણ કરતાં રહ્યા છે. સામાન્ય વાત કરતી વખતે પણ તેઓ આંખો દ્વારા સંવેદનાના ઊભરા લાવતા હોય છે.”
સાયરાબાનુ કહે છે : “આટલી ઉંમરે પણ તેઓ હૃદયથી બાળક જેવા છે. તેઓ જીવનની દરેક ક્ષણ માણી લેવા માગે છે. તેમની સાથે આઉટડોર શૂટિંગમાં કામ કરવું તે એક લહાવો રહ્યો છે. હું જ્યારે તેમની સાથે બહારી દૃશ્યોમાં કામ કરતી હતી ત્યારે તેઓ મારી જ નહીં, પરંતુ પૂરા યુનિટની કાળજી રાખતા હતા.”
સાયરાબાનુ કહે છે : “ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દિલીપ સાહેબને ક્રિકેટનું બહુ જ ઘેલું છે. તેઓ ક્રિકેટ મેચ જોવાના જ શોખીન છે એવું નથી, તેઓ ખુદ એક અચ્છા ક્રિકેટર છે. મનસુર અલી ખાન પટૌડી જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા ત્યારે એ દિવસોમાં ક્રિકેટના ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ વચ્ચે ગજબની દોસ્તી રહેતી. કેટલીયે વાર તેમની વચ્ચે મેચ યોજાતી. ખાસ કરીને ચેરિટી માટે આવી મેચ યોજાતી. મનસુર અલી ખાન પટૌડીના વક્તવ્યવાળી એક ટેપ મારી પાસે મોજૂદ છે. તેમાં પટૌડી કહે છે કે, બ્રેબ્રોર્ન સ્ટેડિયમ પર એકવાર દિલીપ સાહેબ બેટ હાથમાં લે તે પછી તેમને આઉટ કરવા ફર્સ્ટ ક્લાસ બોલર માટે પણ મુશ્કેલ બની જતું. ફર્સ્ટ ક્લાસ બોલરની બોલિંગ સામે દિલીપ સાહેબ છગ્ગો ફટકારી શકતા.”
તેઓ કહે છે : “કોઈપણ ક્ષેત્રમાં નિપૂણતા લાવવા તેમની ચાહત રહેતી. ફિલ્મ ‘કોહિનૂર’ના સુપ્રસિદ્ધ ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ગીત વખતે સ્ક્રિન પર દિલીપ સાહેબ સિતાર વગાડે છે, પરંતુ આ દૃશ્ય માટે દિલીપ સાહેબે સિતાર પણ શીખી લીધી હતી. એ જ રીતે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, દિલીપ સાહેબ ટ્રમ્પેટ પણ સારું વગાડી શકે છે. ચાલો એક બીજી વાત. અમારા પરિવારમાં કોઈ ઉજવણી હોય ત્યારે ગીત-સંગીતની ધૂન વખતે સાહેબ સુંદર ડાન્સ પણ કરી શકતા. તેમની કેટલીક મુદ્રાઓ શમ્મી કપૂર અને હેલનને પણ ઇર્ષા કરાવે તેવી રહેતી.”
એક જમાનામાં ‘બ્યૂટીક્વીન’ તરીકે જાણીતાં બનેલાં સાયરાબાનુ પાસે આવી ઘણી કહાણીઓ અને તસવીરો છે દિલીપકુમાર વર્ષો સુધી મુંબઈના નેશનલ એસોસિયેશન ફોર બ્લાઈન્ડ સાથે સંકળાયેલા રહ્યા. આ સંસ્થા માટે ફંડ એકત્ર કરવાનો ર્વાિષક સમારંભ યોજાતો ત્યારે એ કાર્યક્રમમાં સાહેબ અચૂક હાજરી આપતા રહ્યા.
સાયરાબાનુ કહે છે : “અનેક કંપનીઓની જાણીતી બ્રાન્ડ માટે વિજ્ઞાાપન કરવા દિલીપ સાહેબ પાસે અઢળક નાણાંની ઓફરો આવી, પરંતુ તેમણે તે બધી જ ઓફર્સ નકારી કાઢી. તેમણે કદીયે કોઈના માટે મોડેલિંગ કર્યું નહીં. તેઓ હંમેશાં માનતા રહ્યા છે કે, આ રીતે પૈસા બનાવવાનો કોઈ અર્થ નથી.”
સાયરા કહે છે : “આટલાં વર્ષો બાદ અને નબળા સ્વાસ્થ્ય છતાં તેમના ચહેરા પરનું સ્મિત પસાર થયેલો સમય નિસ્તેજ બનાવી શક્યો નથી. તેમણે મારો હાથ પકડયો અને મારી પીઠ થાબડી તે દિવસથી સમય હંમેશાં મારી સાથે રહ્યા છે. એમનું લાંબુ મૌન પણ મેં અનુભવ્યું છે, પરંતુ તોલી તોલીને બોલાયેલા એમના શબ્દો મારા માટે સુવર્ણથી વધુ વજનદાર રહ્યા છે.”
દિલીપકુમારને અનેક એવોર્ડ્સ મળી ચૂક્યા છે અને સૌથી વધુ એવોર્ડ મેળવનાર હયાત ભારતીય એક્ટર તરીકે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આજે તેમનું નામ છે. દિલીપકુમાર પેશાવર (પાકિસ્તાન)માં જન્મેલા છે. તેમના જન્મદિવસની ઉજવણી પેશાવરથી માંડીને લંડન સહિત વિશ્વના અનેક ભાગોમાં થશે.
હેપી બર્થ ડે, દિલીપસાબ!”




