Close

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !

કભી કભી | Comments Off on એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી !
કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • ‘એ લોકોએ મારી દીકરીના બદલે મને જ સળગાવી દીધી હોત તો સારું હતું’

તા. ૧૬ ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થયેલી સામૂહિક બળાત્કારની ઘટના બાદ તેના એક વર્ષ પછી પણ દિલ્હીમાં જ બળાત્કારની ઘટનાઓમાં ૬.૪ ટકાનો વધારો થયો છે. ઉત્તરનાં રાજ્યોમાં ૧૫ જેટલા ઘાતકી બળાત્કાર થયા છે, તેમાંથી પાંચ ઘટનાઓ નોર્થ ઈસ્ટની છે. ૧૬મી ડિસેમ્બરના એક વર્ષ પછી ઓરિસ્સામાં બે અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ૭ જેટલા સામૂહિક બળાત્કારના કિસ્સા નોંધાયા છે.૨૦૧૨ પછી છેડતીના કેસોમાં ૧૭ ટકાનો વધારો થયો છે.

એ છાપરાની અંદર કન્યા ભડભડ બળી રહી હતી ! નિર્ભયા પર બળાત્કારની ઘટના બાદ બળાત્કાર પછી હત્યા કરી દેવાના પાંચ કેસ દિલ્હીમાં નોંધાયા છે. નિર્ભયા પર બળાત્કાર અને તેના મૃત્યુને ૧૨ મહિના થયા તે પછી આજે પણ તેની માતા આશાદેવી રાત્રે ઊંઘી શક્તી નથી. તે રાતે આંખ બંધ કરીને સૂઈ જાય છે, પણ માંડ બે કલાક તે ઊંઘી શકે છે. પોતાની દીકરી સાથે જે ભયંકર ઘટના ઘટી તેની પીડામાંથી તે આજે પણ બહાર આવી શકતી નથી. તેઓ કહે છેઃ ”મારે સરકાર પાસેથી કાંઈ જોઈતું નથી. ના પૈસા કે ના બીજું કાંઈ. કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેથી હું ખુશ છું. લોકો અમને મદદ કરી રહ્યા છે તેથી પણ હું ખુશ છું, પરંતુ અમારું દુઃખ કોઈ દૂર કરી શકે તેમ નથી. મારી દીકરીને કોઈ પાછી લાવી શકે તેમ નથી. અમારી જિંદગી પહેલાં જેવી હતી તેવી ફરી કદી પાછી આવી શકે નહીં!

નિર્ભયાની માતા આશા દેવી બાવન વર્ષની વયની એક દુઃખીયારી માતા છે. ઉત્તર પ્રદેશ બલિયાથી થોડાક જ કિલોમીટર દૂર આશા દેવી દીકરીની યાદમાં ઝુરી રહી છે ત્યારે એજ ગામથી થોડાક કિલોમીટર દૂર બીજી એક માતા પણ એવા દુઃખમાંથી પસાર થઈ રહી છે. ઉત્તર પ્રદેશના તિલકારી નામના ગામની એક માતા તેની ૧૩ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીઓને પકડી તેમને જેલ ભેગા કરવા માંગ કરી રહી છે. સગીરવયનાં પાંચ છોકરાઓ એ ૧૩ વર્ષની બાળકીને ખેતરમાં ખેંચી ગયા હતા અને તેની પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ તેને સળગાવી દીધી હતી. એક શેડમાં તે ભડભડ બળી રહી હતી ત્યારે છાપરાની ઉપર ઉડતા ધૂમાડા જોઈ કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું. લોકોએ છોકરાઓને પૂછયું કે છાપરાની અંદર શું સળગી રહ્યું છે, ત્યારે બળાત્કાર ગુજારનાર છોકરાઓએ કહ્યું કે, છાપરાની અંદર સુકા પાંદડાં સળગાવવામાં આવ્યા છે. હકીકતમાં અંદર ૧૩ વર્ષની બાળકી સળગી રહી હતી. છાપરા પરથી નીકળતા ધૂમાડાની ઘટનાના ચાર કલાક બાદ ગામના વડીલોને કુતૂહલ થતાં તેમણે છોકરાઓને ખેતરના છાપરાના બારણાં ઉઘાડવા ફરજ પાડી. ના છૂટકે એ બળાત્કારીઓએ છાપરાનું બારણું ખોલ્યું ત્યારે જ ખબર પડી કે ૧૩ વર્ષની એ બાળકીનો સળગી ગયેલો મૃતદેહ જ અંદર પડયો હતો.

એ બાળકીની માતા કહે છેઃ ”મારી દીકરી ખૂબ સુંદર અને રમતિયાળ હતી. એ દિવસે કલાકો સુધી એ ઘરે ના આવી તેથી અમને ચિંતા થતી હતી. એ દરમિયાન જ ગામના સરપંચે અમને બોલાવ્યા અને ખેતરના છાપરામાં સળગી ગયેલા મૃતદેહને જોઈ ઓળખવા કહ્યું. અમને લાગ્યું કે, સરપંચ અમારી ક્રૂર મશ્કરી કરી રહ્યા છે. છતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા. અંદર જઈને એ પહેલાં તો આ પાંચેય છોકરાઓએ ગુનો કબૂલ કરી લીધો હતો કે, ”હા, એ તમારી જ દીકરી છે. તેની ઉપર બળાત્કાર કરી અમે જ તેને સળગાવી દીધી છે. અમારે હવે ઓળખવિધિ કરવા જેવું કાંઈ બાકી રહ્યું નહોતું. અમારી બાળકીના શરીરની રાખ થઈ ગઈ હતી. તેનો મોટા ભાગનો દેહ બળીને ખાખ થઈ ગયો હતો. તેની અંતિમક્રિયા કરવા જેવું કાંઈ બચ્યું નહોતું.”

પીડિતાની માતા કહે છેઃ ”આ ઘટનાથી દ્રવિત થઈ ગયેલા બાળકીના પિતા ગામ છોડીને જતા રહ્યા. હવે હું એકલી જ આ ગામમાં રહીને મારી મૃત દીકરી માટે લડી રહી છું. મારી દીકરીના બદલે એ લોકોએ મને જ જીવતી સળગાવી દીધી હોત તો વધુ સારું.”

દીકરીની માતાનું નામ નીરુપમા ગુહા છે. તેઓ કહે છેઃ ”૧૪ મહિના પહેલાં દિલ્હીમાં ગેંગ રેપના કેસનો ભોગ બનેલી નિર્ભયા માટે દિલ્હી અને આખા દેશે જે ઝુંબેશ ઉપાડી લીધી તેવી જ ઝુંબેશ દેશના લોકો મારી દીકરી માટે પણ ઉપાડી લે.”

દિલ્હીમાં નિર્ભયા પરના સામૂહિક બળાત્કારની ઘટના બાદ દેશમાં બળાત્કારના કેસ વધ્યા છે અને બળાત્કાર સાથે હત્યા અને હિંસાની ઘટનાઓ પણ વધી છે. ૧૦ વર્ષથી નાની વયની દીકરીઓ પર પણ બળાત્કારની ઘટનાઓ વધી છે. દિલ્હીની સફદરગંજ હોસ્પિટલના તબીબ ડો. બી.ડી. અથાની કહે છેઃ ”૨૩ વર્ષની નિર્ભયા પર બળાત્કાર એટલી ઘાતકી રીતે કરવામાં આવ્યો હતો કે જેનું વર્ણન હું કરી શકું તેમ નથી. પરંતુ મને આઘાત એ વાતનો છે કે, એપ્રિલ, ૨૦૧૩ અને સપ્ટેમ્બર, ૨૦૧૩માં મારી પાસે બીજા બે બળાત્કારના કેસ આવ્યા તે કેસો ૧૦ વર્ષથી નાની કન્યાઓના હતા અને અમે એમની હાલત જોઈ આઘાતમાં સરી ગયા હતા કારણ કે એ પીડિતાઓ પર શસ્ત્રક્રિયા કરવી પણ મુશ્કેલ હતી. તેમાંથી હરિયાણાની આઠ વર્ષની એક બાળકીને અમે બચાવી શક્યા નહીં, પરંતુ ૧૦ વર્ષની બીજી બાળકીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં એ બાળકી પર ૨૧ વખત શસ્ત્રક્રિયા થઈ ચુકી છે.”

આઠ વર્ષની એ બાળકી મોરાદાબાદની હતી. સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ તેના જ કાકા દ્વારા એ બાળકી પર ઘાતકી રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તે બેભાન થઈ જાય એટલી હદે તેને લોહીલુહાણ કરી દેવામાં આવી હતી. હકીકત એવી હતી કે એ બાળકીના કાકા કેટલાયે દિવસથી એ બાળકીને સતાવતા હતા. એક વાર બળાત્કાર કર્યા બાદ તે લોહીલુહાણ થઈ ગઈ હતી. એ પછી પણ એણે બાળકી પર અકુદરતી સેક્સ માણ્યું હતું. દીકરી ઘરે ના આવતાં તેના માતા-પિતાએ દીકરીની શોધ શરૂ કરી હતી. છેક સાંજે નવી બની રહેલા ફલેટોની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી તેમની દીકરી નગ્ન હાલતમાં મળી આવી હતી. તેનો દેહ ક્ષત-વિક્ષત થઈ ગયેલો હતો. શરીરમાંથી અને મોંમાંથી લોહી બહાર આવતું હતું. બાળકીની યોનિને બળાત્કાર કરનાર એના કાકાએ વ્યક્તિએ સેફટી પીનથી સાંધી લીધી હતી. એ બેભાન હતી. તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને હોસ્પિટલમાં દાખલ કરાયાના ૪૮ કલાક બાદ તે મૃત્યુ પામી. એની પર બળાત્કાર ગુજારનાર તેનો સગો કાકો ભાગી ગયો છે.

નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા અનુસાર ૨૦૧૧-૨૦૧૩ દરમિયાન ૧૦ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો સાથેની હિંસાની ઘટનાઓમાં એકાએક વધારો થયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં ૧૦ વર્ષથી ઓછી વયની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓમાં ૩૨ ટકાનો વધારો થયો છે. દેશના ઉત્તરી વિસ્તારોમાં દર બે દિવસે એક સગીર બાળકી પર બળાત્કાર થાય છે. તે પૈકી બાવન ટકા કેસો તો પોલીસ સુધી જતા જ નથી. લોકો એટલા ગરીબ, અશિક્ષિત અને પછાત છે કે તેઓ પોલીસસ્ટેશને ફરિયાદ કરવા જતા જ નથી.

એપ્રિલ ૨૦૧૩માં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની એક બાળકીને તાબડતોબ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી. આ બાળકીને ૨૫ વર્ષની વયના એક માણસે અને તેના મિત્રએ એક રૂમમાં ત્રણ દિવસ સુધી પૂરી રાખી હતી. ઘટના એવી હતી કે મનોજ શાહ નામના એક યુવકે આ કન્યા તેના ઘરની બહાર રમતી હતી ત્યારે તેનું અપહરણ કર્યું હતું અને તેમના ફલેટમાં રાખી મનોજ શાહ અને તેના મિત્રએ તે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી એ બાળકીના અંગમાંથી વહેતા લોહીના સ્ત્રાવને બંધ કરવા ૧૦૦ એમએલ માથામાં નાંખવાનું હેરઓઈલ રેડયું હતું અને મીણબત્તીના મીણથી એ રક્તસ્ત્રાવ બંધ કરવા કોશિશ કરી હતી. એ પછી એ બંને મિત્રો ભાગી ગયા હતા. પડોશીઓને શંકા જતાં એમણે અંદરથી આવતા દર્દનાક અવાજો સાંભળી બારણું તોડી નાંખ્યું હતું અને બાળકીની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. બાળકીને ગંભીર હાલતમાં એઈમ્સ- હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરોએ તેના શરીર પર અનેકવાર શસ્ત્રક્રિયા કરી હતી. તેના પ્રાઈવેટ પાર્ટ પર ૧૧ વખત શસ્ત્રક્રિયા કરવી પડી હતી. ડોક્ટરોને હતું કે એ દીકરી કુદરતી માર્ગે કદી પણ યુરિન કરી શકશે નહીં. તે માટે પણ ફરી શસ્ત્રક્રિયા કરી દેવામાં આવી. હવે તેને ઠીક છે અને નાનકડી ગુડિયાને તેના માતા-પિતા સાથે ઘેર જવા રજા આપવામાં આવી છે. એક માત્ર દિલ્હીમાં જ ૬૪૦૦ જેટલા બળાત્કારના અને યુવતીઓ સાથે છેડતીના કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે. નિર્ભયા પરના બળાત્કારની ઘટના અને એક મજબૂત ચુકાદા બાદ બળાત્કારીઓ હવે પીડિતાઓની હત્યા પણ કરી દે છે. એમને કાનૂનનો કોઈ ડર રહ્યો નથી.

આ રાષ્ટ્રીય શરમ નથી તો બીજું શું છે ?

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Be Sociable, Share!