Close

જેમણે મહિલાઓના ખુલ્લા ચહેરા સાથે તસવીર પડાવી

કભી કભી | Comments Off on જેમણે મહિલાઓના ખુલ્લા ચહેરા સાથે તસવીર પડાવી

૨૧મી સદીમાં પણ કેટલાક દેશોમાં રાજાશાહી છે. વિશ્વમાં આજના રાજકારણીઓને જોતાં કેટલાકને એવું પણ લાગે છે કે, આજના રાજકારણીઓ કરતાં ઘણા રાજાઓ વધુ સારા અને પ્રજાવત્સલ હતા. વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં લોકશાહી ના હોવા છતાં લોકો સુખ ચૈનથી જિંદગી બસર કરે છે. આવો એક દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાને પોતાની આગવી સમૃદ્ધિ પણ છે અને પોતાના પ્રશ્નો પણ છે. તેલથી સમૃદ્ધ આ દેશની પ્રજા પર લોકતાંત્રિક દેશોમાં નાગરિકો પર જેવા આકરા કરવેરા હોય છે તેવા રાજાશાહી ધરાવતા દેશોમાં નથી. લોકતાંત્રિક દેશોના ચૂંટણીઓ વખતે કાળા નાણાંનો જે બિભત્સ ખેલ ખેલાય છે તેવું સાઉદી અરેબિયામાં નથી. હા, ઈસ્લામ ધર્મના સિદ્ધાંતોનો ચુસ્ત અમલ છે. ભારતના ગુજરાતમાં દારૂબંધીના નામે હપ્તાનો ભ્રષ્ટાચાર ચાલે છે તેવું સાઉદી અરેબિયામાં નથી. ચોરી કરનાર કે બળાત્કાર કરનારને સખ્તમાં સખ્ત સજા છે. ભારત જેવા દેશો કેટલાયે બળાત્કારીઓ જામીન પર છૂટી ફરી ગુનાઈત પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જતા હોય છે.

વિશ્વના ધનવાન દેશોમાં અગ્રગણ્ય એવા સાઉદી અરેબિયાના શાસક કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અજીજ અલ સઉદનું તાજેતરમાં જ અવસાન થયું. તેઓ ૯૦ વર્ષની વયના હતા. આતંકવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે લડતા સાઉદી અરેબિયામાં સામાજિક અને આર્િથક સુધારાનો પાયો નાંખનાર શાસક તરીકે તેમનો દેશ કિંગ અબ્દુલ્લાને હંમેશા યાદ કરશે. લોકો તેમને પ્રગતિશીલ અને સુધારાવાદી બાદશાહ તરીકે પણ યાદ કરશે. રૂઢિચુસ્ત મુસ્લિમ સમાજવાળા સાઉદી અરબસ્તાનમાં મહિલાઓને અધિકાર પણ કિંગ અબ્દુલ્લાએ જ અપાવ્યો.

કિંગ અબ્દુલ્લા સાઉદી અરેબિયાના સંસ્થાપક શાહ અબ્દુલ અજીજ અલ સઉદના ૧૨ પુત્રો પૈકી એક હતા. કિંગ અબ્દુલ્લા ઈસ્લામના સિદ્ધાંતોના ચુસ્ત સમર્થક હતા પરંતુ તેમની વિચારધારા કટ્ટરપંથી નહોતી. સાઉદી સમાજમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રાજ્યની ઉત્તરાધિકાર વ્યવસ્થા ગોઠવવામાં રહ્યું. તેમણે ”હયાત અય-બયા” અર્થાત્ ”એલિજન્સ કોન્સલ”નું ગઠન કર્યું ઉત્તરાધિકારીઓ માટે પણ તેમણે એક કેડી કંડારી.

એક વાર કિંગ અબ્દુલ્લાએ કહ્યું હતું: ”સાઉદી અરબની ઓળખ તે તેલથી નહીં પરંતુ તેના નાગરિકોથી થવી જોઈએ.”

૨૦૦૫માં તેમણે સાઉદીની ગાદી સંભાળી તે પછી તેઓ હંમેશા સુધારાવાદી રહ્યા. તેમણે વિસ્તૃત મજલિસ અલ-શુરામાં ૩૦ મહિલાઓને પણ સ્થાન આપ્યું. એ કારણે તેની સભ્ય સંખ્યા ૧૫૦ની થઈ ગઈ. ૨૦૧૦ની સાલમાં શાહ અને તેમના વારસ સુલ્તાને પરદાની રૂઢિચુસ્ત પ્રથા તોડવા માટે એવી મહિલાઓ સાથે તસવીર ખેંચાવરાવી જે મહિલાઓના ચહેરા ખુલ્લા હતા. આ તસવીર સાઉદી અખબારના પહેલા પાના પર પ્રગટ થઈ હતી. અલબત્ત, બધી જ મહિલાઓએ માથા પર અબાયા પહેરી રાખ્યો હતો પરંતુ ચહેરો ઢાંકેલો નહોતો. આ ઘટનાએ સાઉદીમાં સામાજિક રૂઢિચુસ્તતા તોડવામાં મદદ કરી હતી.

૨૦૦૯માં તેમણે કિંગ અબ્દુલ્લા યુનિર્વિસટી ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીનું ઉદ્ઘાટન કર્યું. ૧૦ અબજ ડોલરના ખર્ચે આ સંસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સંસ્થામાં ઉચ્ચ વૈજ્ઞાાનિક સંશોધન અને અભ્યાસ કરવા તમામ યુવક અને યુવતીઓને છૂટ હતી. તાલીબાનો અફઘાનિસ્તાન કે પાકિસ્તાન બાળકીઓને સ્કૂલમાં પણ જવા દેવા માગતા નથી ત્યારે કિંગ અબ્દુલ્લાની વિચારધારા આધુનિક હતી. પવિત્ર કુરાનમાં પણ શિક્ષણ પર ભાર મૂકવામાં આવેલો છે. અહીં આ સંસ્થામાં ભણવા માંગતી યુવતીઓ માટે કોઈ જ ડ્રેસ કોડ ઠોકી બેસાડવામાં આવ્યો નહોતો. કીંગ અબ્દુલ્લાના આ કદમને એક બંધ અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા તરીકે લેખવામાં આવ્યું.

કિંગ અબ્દુલ્લાની અંગત સંપત્તિ ૧૮ બિલિયન ડોલરની હોવાનું માનવામાં આવે છે. તેઓ વિશ્વના ત્રીજા નંબરના ધનવાન શાસક ગણાયા છે.

કિંગ અબ્દુલ્લા એવા પહેલા સાઉદી અરેબિયાના શાસક હતા જેઓ વેટિકન સિટી ગયા અને નામદાર પોપને મળ્યા. આ રીતે તેમણે બીજા ધર્મો પ્રત્યે પણ સન્માન દાખવ્યું.

રાજનીતિને લાગેવળગે છે ત્યાં સુધી કિંગ અબ્દુલ્લાએ અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોની વિરુદ્ધમાં જાહેરમાં અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોનું સમર્થન કર્યું. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના નાઈન ઈલેવનનો હુમલો કરવાવાળા ૧૯ આતંકવાદીઓ પૈકી ૧૫ સાઉદી અરબના હતા. આ બાબત પણ તેમના માટે ચિંતાનો વિષય હતો. નાઈન ઈલેવનનો હુમલો કરનારાઓની મોટામાં ફરિયાદ એ હતી કે તેમના દેશમાં અમેરિકા સૈનિકોની હાજરી પણ હુમલાનું એક કારણ છે. કિંગ અબ્દુલ્લાએ એ ફરિયાદ તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરી તેમના દેશમાંથી અમેરિકી સૈનિકોની સંખ્યા ઘટાડી. તે પછી કિંગ અબ્દુલ્લાએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. સેનાના સશક્તિકરણ માટે તેમણે ૧૫૦ અબજ ડોલરનું ખર્ચ કર્યું. કટ્ટરપંથીઓ અને કટ્ટર ધર્મગુરુઓને ગિરફતાર કર્યા.

આ બધું હોવા છતાં સાઉદી અરેબિયા અને આતંકવાદી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠ અંગે આંગળી ચીંધાતી રહી છે. કેટલાક સમય પહેલાં જ જાહેરમાં એક મહિલાનું મસ્તક કપાતું દર્શાવતો એક વીડિયો બહાર આવ્યો હતો. તે દર્શાવે છે કે સાઉદી અરબમાં માનવાધિકાર અને લોકતંત્ર માટે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. સાઉદી અરેબિયામાં રાજાશાહી છે અને રાજાશાહી સામે ખતરાના ભયથી કિંગ અબ્દુલ્લા પરિવારે ટયૂનિશિયા, લીબિયા અને ઈજિપ્તમાં લોકતંત્ર માટે જે ચળવળ થઈ તેનો વિરોધ કર્યો હતો. એ જ રીતે મધ્યપૂર્વના દેશોના પ્રશ્નો હલ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કિંગ અબ્દુલા ભારતના કરીબી દોસ્ત હતા. ભારત અને ભારતીયો માટે તેમને સ્નેહ અને લગાવ હતો. કિંગ અબ્દુલ્લાના નિધન બાદ હવે સાઉદીના નવા સુલતાન તરીકે તેમના ઓરમાન ભાઈ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ ગાદી પર આવ્યા છે. તેમની વય ૭૯ વર્ષની છે. તેઓ અનુભવી અને ભરોસાપાત્ર શાસક ગણાય છે.

Be Sociable, Share!