Close

વ્યાપમં-સિરીયલ કિલર કોણ છે?

રેડ રોઝ | Comments Off on વ્યાપમં-સિરીયલ કિલર કોણ છે?
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

મધ્યપ્રદેશનું વ્યાપમં કૌભાંડ દિવસેને દિવસે વધુ રહસ્યમય થતુ જાય છે. અહીં માત્ર નોકરીઓ આપવાનું આર્થિક કૌંભાડ જ થયું નથી પરંતુ આ બાબત સાથે સંકળાયેલી કોઈને કોઈ વ્યક્તિનું થોડાંથોડાં દિવસોના અંતે મોત નીપજતું જાય છે. આ હત્યાઓ કોણ કરે છે અથવા કરાવે છે તે રહસ્ય વધુ ને વધુ ઘેરૃં બનતું જાય છે. થોડાં દિવસ પહેલાં જ જવાહરલાલ નહેરુ પોલીસ ટ્રેનિંગ એકેડેમીની ૨૫ વર્ષની ટ્રેઈની અનામિકા કુશવાહાનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો તે પહેલાં ‘આજતક’ના પત્રકાર અક્ષયનું મોત નીપજયું. વ્યાપમં ગોટાળા સાથે સંકળાયેલા લોકો પૈકી ૪૮ જેટલા લોકો મોતને ભેટી ચૂક્યા છે.

વ્યાપમંનો અર્થ છે વ્યવસાયિક પરીક્ષા મંડળ. સરકારમાં ઉચ્ચ હોદાઓ પર પરીક્ષા લઈ નોકરી આપતી આ સરકારી સંસ્થા છે જેને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન સાથે સરખાવી શકાય. આ કૌભાંડમાં મધ્યપ્રદેશના મોટા મોટા નેતાઓ અને મધ્યપ્રદેશનાં રાજયપાલનાં પુત્રનાં નામ પણ આવ્યા છે. આ કૌંભાડમાં બધા મળીને ૨૫૦૦ જેટલા આરોપીઓ છે. ૧૯૦૦ લોકો જેલમાં છે. ૫૦૦ ફરાર છે. બધાં મળીને ૫૫ જેટલા કેસ નોંધાયા છે. મોતના વણથંભ્યા સિલસિલામાં જબલપુર કોલેજના ડીન અરૂણ શર્માનું પણ મોત નીપજયું છે. આ બધી જ ઘટના એક થ્રીલર જેવી લાગે છે સિરિયલ કિલર કોણ છે તે મધ્યપ્રદેશની સરકાર કે પોલીસ શોધી શકતી નથી.

હકીકત એ છે કે વ્યાપમં કૌભાંડમાં સત્યને શોધવાનો પ્રયાસ ફરેબ સિવાય બીજું કંઇ નતી. લોકોની આખમાં ધૂળ નાખવાનો જ પ્રયાસ થઇ રહ્યો છે. મધ્યપ્રદેશ એક ઐતિહાસિક ધરોહર અને પ્રાકૃતિક સંપદાથી ભરેલો પ્રદેશ છે. આવા રાજયમાં આ કૌંભાંડે મધ્યપ્રદેશને ‘અતૂલ્ય ભારત’ નો એક વરવો નમૂનો બનાવી દીધો છે. એ રાજયમાં હત્યાઓ કોણ કરે છે તે કોઈ શોધી શકતું નથી. એક પછી એક નવયુવાનો મોતને ભેટી રહ્યા છે છતાં કોઈના પેટનું પાણી પણ હાલત નથી. આવું યુરોપ કે અમેરિકા જેવા કોઈ દેશમાં થયું હોત તો સરકારે રાજીનામું આપી દેવું પડયું હોત. સરકારના વડાએ તો અવશ્ય જ. આશ્વર્યની વાત એ છે કે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કે જેમને લોકો ‘મામા’ તરીકે ઓળખે છે તેઓ જાણે અજાણે કંસનો રોલ ભજવી રહ્યા છે.

મધ્યપ્રદેશનાં હજારો યુવાનોનાં દિલમાંથી એક ચીસ નીકળી રહી છે. મૃત્યુ પામેલાં ૪૮ જેટલા લોકોનાં પરિવારોને હજુ ખબર પડતી નથી કે, તેમના પરિવારના સભ્યને કોણે મારી નાંખ્યા, સરકાર, સીઆઈડી, ક્રાઈમ, બ્રાંચ, સીટ, સીબીઆઈ, ઈન્ટેલિજેન્સ બ્રાંચ એ બધાં જ અહીં ખતરનાક મૌન ધારણ કરીને બેઠાં છે.

મધ્યપ્રદેશના નેતાઓ એ વાત સારી રીતે જાણે છે કે, કેટલાંયે ગરીબ પરિવારોનાં માતા-પિતાઓએ તેમનાં ઘર, દુકાન કે જમીન તેમનાં સંતાનોને વ્યવસાયિક સંસ્થાનોમાં પ્રવેશ માટે વેચ્યાં હતાં. એટલા માટે કે તેમનાં સંતાનોને નોકરી મળે. આ કૌંભાડમાં સંકળાયેલા અસલી માસ્ટમાઇંડ બહાર છે, અને સંતાનોના માતા-પિતા કે વાલીઓ જેલમાં છે. કારણકે જ્યારે વ્યવસાયિક પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે એજન્ટોએ પાંચથી દસ લાખ રૂપિયા જેવી તગડી રકમ લઈ અસલ ઉમેદવારોની જગાએ નકલી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડી દીધા હતા. બીજા કેસમાં નબળા ઉમેદવારોની બાજુમાં હોંશિયાર યુવક કે યુવતીને તેની બાજુમાં બેસી ઉત્તરો લખાવવામાં આવ્યા હતા. ત્રીજા કેસમાં કેટલાંક ઉમેદવારોને ઉત્તરવહી ખાલી રાખવા જણાવવામાં આવ્યું હતું અને પરીક્ષા પછી કોઈ અન્ય દ્વારા તેમાં સાચા જવાબો લખી દેવામાં આવ્યા હતા. આ બધામાં ફસાઈ ગયા છે પૈસા આપનાર ઉમેદવારો અને તેમના વાલીઓ. જે લોકોએ પૈસા લઈ લીધા છે તે બધા લોકો પૈસા લઈને છૂમંતર થઈ ગયા છે. ટૂંકમાં પૈસા આપનાર જેલમાં છે અને પૈસા લેનારા જેલની બહાર છે. હવે આ કૌંભાડનાં ટોચના લોકો પકડાય નહીં તેથી એક પછી એક કડીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે આ રહસ્યનો ભાગ મેળવવાની કોશિષ કરનાર પત્રકારોને પણ પતાવી દેવામાં આવી રહ્યા છે.

દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ એવા ભારતના એક રાજયમાં કોઈ સરકારી કૌંભાડ સાથે સંકળાયેલા લોકોની આટલી મોટી સંખ્યામાં સિલસિલાબંધ મૃત્યુની ઘટના ઘટી તેવું ભાગ્યે જ ક્યાંય અન્યત્ર જોવા મળ્યું છે. આ ઘટના અંગે કેટલાંયે સમયથી એક તપાસ ચાલે છે પણ તે સત્ય સુધી પહોંચી નથી. એથી ઉલટુ એક તરફ તપાસ ચાલે છે તો બીજી તરફ હત્યાઓનો સીલસીલો પણ ચાલુ જ છે. અત્યાર સુધી જે તપાસ થઈ છે તે માત્ર દેખાવ ખાતર જ થઈ છે. તેમાં કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. હા, આ ઘટના સાથે સંકળાયેલા મધ્યપ્રદેશના એક મંત્રી જેલમાં છે સહુથી મોટું રહસ્ય તો એ છે કે વ્યાપમં કૌભાંડમાં મધ્યપ્રદેશનાં રાજયપાલના પુત્રનું નામ બહાર આવ્યા બાદ તેનું પણ રહસ્યમય મોત નીપજી ચૂકયું છે. આટઆટલી ઘટનાઓ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ સ્વંય રાજીનામું આપી દેતા કેમ નથી તે સમજાતું નથી. કૌંભાડ અને મોતનો આ સંગમ તેમની સરકારની છબી ખરાબ કરી રહ્યો છે. શિવરાજસિંહે પોતાની ઈમેજ બચાવવી હોય તો તેમણે સત્યનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેઓ આ બાબતમાં કશું જાણતા જ નથી તેવા ભોળા ચહેરાનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે પર્દાફાશ થઈ જવાનો સમય આવી ગયો છે. વ્યાપમં કૌભાંડથી કોઈ ક્ષેત્ર અછૂતું રહ્યું નથી. વિદ્યાર્થી, શિક્ષક, સામાન્ય માનવી, રાજકારણીઓ,અધિકારીઓ અને પત્રકારો બધા જ તેના ભોગ બની ચૂક્યા છે.

હવે બાકી શું રહ્યું છે. બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ.

મુખ્યમંત્રી શિવરાજસિંહ સાચા હોય તો સાબીત કરે. મીડિયાના, વિરોધપક્ષના અને છેલ્લે પોતાના જ પક્ષના નેતાઓ દ્વારા દબાણ વધતાં છેવટે શિવરાજસિંહ ચૌહાણ આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈના દ્વારા કરાવવા હાઈકોર્ટને અનુરોધ કરવા તૈયાર થયા છે પરંતુ સવાલ એ છે કે સીબીઆઈની તપાસ માટે ૪૭ લોકોનાં મોત સુધી રાહ કેમ જાઈ? કેટલા પરિવારોના માતમ પછી આ ડહાપણ સૂઝયું? હજી બીજી હત્યાઓ નહીં થાય તેની શું ખાત્રી? કોણ છે આ સીરિયલ કિલર?

Be Sociable, Share!