Close

એ રાત્રે મધુએ ખતરનાક યોજનાને અંજામ આપ્યો

કભી કભી | Comments Off on એ રાત્રે મધુએ ખતરનાક યોજનાને અંજામ આપ્યો

મધુ ત્રણ બાળકોની માતા હતી, પરંતુ તે પોતાને કુંવારી સાબિત કરવા માંગતી હતી

તા.૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ મુરાદાબાદના ડિપ્ટીગંજ વિસ્તારમાં સવારસવારમાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ત્રણ માળના મકાનમાં ત્રણ બાળકોની રહસ્યમય હત્યા થઈ ગઈ હતી. એ ત્રણ બાળકોની મા મધુ બેહોશ થઈ ગઈ હતી. ત્રણેય બાળકોની લાશ એક જ પલંગ પર પડી હતી. પોલીસે તપાસ શરૂ કરી. મકાનના નીચલા હિસ્સામાં મધુની મા કાંતા રહેતી હતી. વચલા માળે મધુ તેનાં ત્રણ બાળકો સાથે રહેતી હતી. ઉપરના માળે મધુનો ભાઈ પવન અને ભાભી મંજુ રહેતાં હતાં. મધુ ભાનમાં આવી અને એણે કહ્યું: ”સાહેબ, મારી ભાભીને હું અહીં રહું તે પસંદ નહોતું. એણે જ કાંઈક કર્યું છે.”

એ રાત્રે મધુએ ખતરનાક યોજનાને અંજામ આપ્યો

પોલીસે મધુની ભાભીની પૂછપરછ કરી પણ તેમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે મધુના ઘરની તપાસ કરી તો તેના કબાટમાંથી એક ડાયરી અને બ્રાન્ડેડ કંપનીઓના પાંચ મોબાઈલ નીકળ્યા. ડાયરીમાં લખેલા ફોન નંબરોની તપાસ કરી તો ખબર પડી કે કેટલાંક શ્રીમંત નબીરાઓના એ નંબર હતા. એક મોબાઈલ પરથી મધુએ જેને સહુથી વધુ ફોન કર્યા હતા તે વ્યક્તિની તપાસ શરૂ કરી. પોલીસે તપાસ આગળ વધારી. મધુ જેની સાથે સહુથી વધુ વાતચીત કરી હતી તે યુવકનું નામ પ્રતીક રસ્તોગી હતું. પ્રતીકે કબૂલ કર્યું કે , ”હા…. હું મધુ સાથે રોજ વાતચીત કરતો હતો. હું મધુને ચાહું છું. અમારાં લગ્ન થવાના હતાં.”

પોલીસ સ્ટેશનમાં મધુ અને પ્રતીકને એકબીજાની સામે ઊભાં કરી દેવાયાં ત્યારે મધુ પ્રતીકને જોઈ ચોંકી ગઈ. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં વાત કાંઈક આવી બહાર આવીઃ મધુના પિતાનું ઓછી વયે જ અવસાન થઈ ગયું હતું. મધુ અને તેની બહેન મીનાને તેમની માતા કાંતા દેવીએ ઉછેર્યાં હતા. મધુ ૧૫ વર્ષની હતી ત્યારે જ તેને રામનગર- ઉત્તરાખંડના એક સીધા સાદા વ્યક્તિ સાથે પરણાવી દીધી હતી. મધુ ચંચળ હોઈ તેને તેનો સરળ પતિ પસંદ ના આવ્યો અને તે કાયમ માટે તેની મા પાસે રહેવા આવી ગઈ.

મધુ હવે ૧૬ વર્ષની થઈ. કાંતા દેવીએ મધુનું બીજુ લગ્ન કરવા નક્કી કર્યું. નજીકના જ ગામમાં રહેતા બાબુરામ નામના માણસ સાથે મધુને પરણાવી દીધી. બાબુરામને કરિયાણાની દુકાન હતી. બાબુરામથી મધુ ક્રમશઃ ત્રણ સંતાનોની માતા બની. એકનું નામ અભિષેક, બીજાનું નામ ગુડ્ડુ અને ત્રીજાનું નામ સૂરજ રાખ્યું. બાબુરામ દુકાનમાં વ્યસ્ત રહેતો હતો પણ મધુ આવારા હતી. તેને બહાર ફરવા જવાનું ગમતું હતું. પણ બાબુરામ પાસે સમય રહેતો નહોતો. મધુને હવે બાબુરામ પણ ગમતો નહોતો. પતિથી અસંતુષ્ઠ મધુ તેનાં ત્રણેય નાનાં બાળકોને લઈ ફરી તેની માતા કાંતા દેવી પાસે આવી ગઈ. બાબુરામે મધુને બહુ સમજાવી પણ તેણે પતિના ઘેર જવા ઈનકાર કરી દીધો. એક વાર બાબુરામે આક્રમક થઈ મધુને પોતાના ઘેર પાછા ફરવા કહ્યું તો મધુએ પતિ સામે જ પોલીસ ફરિયાદ કરી દીધી અને   બાબુરામને થોડા દિવસ જેલમાં રહેવું પડયું. તે પછી બાબુરામ કદી મધુને લેવા ગયો નહીં.

પતિ સાથે છેડો ફાડી નાખ્યાં બાદ પિયરમાં જ રહેતી મધુ હવે છોકરાંઓની સાર સંભાળ માટે નોકરી શોધવા લાગી. મધુની માસીની દીકરી સીમા સંભલ નામના નગરમાં રહેતી હતી. એક દિવસ તે નોકરી શોધવા સીમા પાસે ગઈ. સીમાએ સંભલના કમલકાંત સૂરી નામના શાહુકાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. દર મહિને તે હપ્તો ચૂકવવા જતી. એ દિવસે મધુ સંભલ ગયેલી હતી. સીમા પોતાની સાથે મધુને પણ કમલકાંત સૂરી પાસે લઈ ગઈ. મધુને જોતાં જ ૬૦ વર્ષની વયના કમલકાંત સુરીની નજર તેની પર સ્થિર થઈ ગઈ. કમલકાંત સૂરી ઐયાશ હતો એણે સીમાને પૂછયું: ” આ કોણ છે?”

સીમાએ કહ્યું: ”આ મારી બહેન મધુ છે. ત્રણ બાળકોની મા છે. તેનો પતિ ઠંડો છે. હવે એ બિચારી તેની મા પાસે જ રહે છે. નોકરી શોધે છે.”

કમલકાંત સુરી ઉસ્તાદ હતો. એણે મધુને સારામાં સારી નોકરી અપાવવાનો વાયદો કર્યો. તેણે મધુને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને બે દિવસ પછી મળવા આવવા કહ્યું. બે દિવસ પછી એકલી મધુ જ કમલકાંત સુરીને મળી. કમલકાંતને મીઠી મીઠી વાતો કરી મધુને પોતાની શબ્દજાળમાં ફસાવી દીધી. એ પછી બેઉ વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા. સૂરીએ મધુને આર્િથક મદદ પણ કરવા માંડી. મધુને હવે આવક થવા લાગી. ધીમે ધીમે કમલકાંત સૂરીએ મધુની ઓળખ કેટલાંક શ્રીમંત નબીરાઓ સાથે કરાવવા માંડી. મધુ તેમની પાસે પણ જવા લાગી. મધુનું પર્સ હવે ભરાયેલું રહેવા લાગ્યું. એ આવકમાંથી મધુએ ડિપ્ટીગંજ વાળું મકાન ત્રણ માળનું બનાવી દીધું. હવે રોજ નવી નવી ગાડીઓ મધુને લેવા અહીં આવવા લાગી.

કરીબ સાત મહિના પહેલાંની વાત છે. એક દિવસ મધુ બસમાં બેસી સંભલથી મુરાદાબાદ આવી રહી હતી. બસમાં તેની મુલાકાત પ્રતીક રસ્તોગી નામના એક સોહામણા યુવાન સાથે થઈ. પ્રતીક પણ મુરાદાબાદમાં જ રહેતો હતો. તેનાં આર્ટિફિસિયલ જ્વેલરીનો શો રૂમ હતો. મધુ પણ સુંદર હતી. હજુ નાની જ લાગતી હતી. પ્રતીક રસ્તોગીને તેની સાથે વાત કરવાનું સારું લાગ્યું. બસમાં જ તેમણે એકબીજાને તેમના મોબાઈલ નંબર આપ્યા. બસ રાત્રે મુરાદાબાદ બસ સ્ટેન્ડ પર ઊતરી. પ્રતીકે મધુને કહ્યું: ”બસ સ્ટેન્ડ પર જ મારી મોટરબાઈક પડી છે, ચાલો તમને ઘેર મૂકી જાઉં.”

મધુએ હા પાડી. પ્રતીક રસ્તોગીએ મધુને ડિપ્ટીગંજ વિસ્તારમાં એના ઘર પાસે મધુને ઉતારી દીધી. એ પછી બંને વચ્ચે રોજ વાત થવા લાગી. બેઉ મળવા લાગ્યાં. બંને ભાવનાત્મક રીતે એકબીજાની કરીબ આવ્યાં. પ્રતીકે વાતવાતમાં કહી દીધું: ”હું પણ તારા જેવી સુંદર અને કુંવારી છોકરી સાથે લગ્ન કરવા માંગું છું.”

મધુ સહેજ વિચારમાં પડી ગઈ. તે હવે પ્રતીકને ચાહવા લાગી હતી. તે પરણેલી છે એમ કહી દે તો પ્રતીક એને છોડી દેશે તેવી બીકથી મધુએ પોતે કુંવારી જ છે એમ કહ્યું: તે ત્રણ બાળકોની માતા છે તે વાત તેણે છુપાવી. પ્રતીક પાસે પૈસા પણ ઘણા હતા. તે હવે મધુને અવારનવાર બહાર ફરવા લઈ જવા માંડયો. દર અઠવાડિયે તેઓ જુદાં જુદાં શહેરોમાં ફરવા જતાં. હોટલમાં પણ રોકાતા. પ્રતીકે તેના ઘરમાં વાત પણ કરી દીધીઃ ”હું મધુ નામની છોકરીને ચાહું છું. તે કુંવારી છે. તેની સાથે લગ્ન પણ કરવા માગુ છું.”

મધુ પણ પ્રતીકના પ્યાર- મહોબ્બતથી ખુશ હતી કે કોઈ પણ ભોગે પ્રતીકને ગુમાવવા માંગતી નહોતી. સવાલ એટલો જ હતો કે તે ત્રણ બાળકોની મા છે તે વાત હજુ તેણે પ્રતીકથી છુપાવી રાખી હતી. પોતે અવિવાહિત જ છે એમ તે બોલતી રહી. પ્રતીકે મધુને બેહદ ચાહતો હતો એની એક જ શરત હતી કે ”મધુ તારે મારી આગળ કદી જુઠ્ઠું બોલવું નહીં.”

મધુને હવે ચિંતા થવા લાગી કે જે દિવસ પ્રતીકને ખબર પડી જશે કે તું ત્રણ બાળકોની મા છે ત્યારે શું ? પ્રતીકના પ્રેમમાં પાગલ મધુને એ ક્ષણે ભયંકર વિચાર આવી ગયોઃ ”મારાં બાળકોને જ આ દુનિયામાંથી રવાના કરી દઉં તેમનું અસ્તિત્વ જ ના હોય તો પુરાવો પણ ના રહે ને!”

મધુએ પ્રતીકને પામવા પોતાનાં ત્રણેય બાળકોને મારી નાંખવા નિર્ણય કર્યો. પહેલાં તો તેણે ત્રણે બાળકોને ગંગા નદીના કિનારે લઈ જઈ નદીમાં ધક્કો મારી દેવા વિચાર્યું. પરંતુ એમ કરતાં કોઈ જોઈ જાય અથવા તો કોઈ બાળકોને બચાવી લે તો? એ વિચાર એને પડતો મૂક્યો. એ પછી એણે એની ખતરનાક યોજના પાર પાડવા બીજો વિકલ્પ ઝેરના ઉપયોગનો વિચાર્યો. બીજા જ દિવસે તે બજારમાં ગઈ અને બજારમાંથી ખેતીમાં વપરાતી જંતુનાશક દવા લઈ આવી. તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોતાની યોજનાને અંતિમ સ્વરૂપ આપવા નિર્ણય કર્યો. રાત્રે એણે ખોરાકમાં જ ઝેર ભેળવી દીધું. એ વખતે તેનો નાનો છોકરો સૂરજ રડી રહ્યો હતો. પણ તેની આંખમાં પ્રતીક સાથે લગ્ન કરવાનું ભૂત સવાર હતું. બાળકોની આંખોમાં રહેતી વાત્સલ્યની તૃષા એને ના દેખાઈ. બાળકો કરતાં પ્રતીક એને વધુ વહાલો દેખાતો હતો. મધુએ ખોરાકની સાથે દૂધમાં પણ જંતુનાશક દવા ભેળવી દીધી. અને બાળકોને એ ઝેરી ખોરાક ખવરાવી ઝેરી દૂધ પણ પીવરાવી દીધું. નવ વર્ષનો અભિષેક ઊલટીઓ કરી ચીસો પાડવા લાગ્યો. કોઈ સાંભળી જશે એવી બીકથી મધુએ અભિષેકનું ગળું દબાવી દીધું. થોડીવાર તરફડીને તે શાંત થઈ ગયો. એ જ રીતે ૭ વર્ષનો ગુડ્ડુ અને પાંચ વર્ષનો સૂરજ પણ તડપી તડપીને મૃત્યુ પામ્યા.

પોતાની આ ખતરનાક યોજનાને અંજામ આપ્યા બાદ એણે ઊલટીવાળી ચાદર બદલી નાખી અને તેની ઉપર મૃત બાળકોને સુવરાવી દીધા અને ઊંઘી ગઈ છે તેવું નાટક કરીને તે પણ મૃત બાળકોની બાજુમાં જ સુઈ ગઈ. સવારે કોઈ કેમ ઊઠયું નથી તેની તપાસ કરવા તેનો ભાઈ પવન નીચે આવ્યો ત્યારે મધુ બેહોશીનું નાટક કરીને સૂતેલી હતી. પણ ત્રણ બાળકો મૃત્યુ પામી ચૂક્યાં હતાં. ત્રણેય બાળકોને નિર્જિવ જોઈ મધુએ બુમો પાડી. લોકો એકઠા થઈ ગયા. પોલીસ પણ આવી ગઈ પરંતુ મધુના મોબાઈલ ફોન પરની કોલ ડિટેઈલ્સના આધારે મધુના પ્રતીક રસ્તોગી સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા. અત્યાર સુધી પ્રતીકને પણ ખબર નહોતી કે મધુ ત્રણ બાળકોની માતા છે. પોલીસની પૂછપરછમાં જ મધુએ કબૂલ કર્યું: ”પ્રતીક સાથે લગ્ન કરવા હું કુંવારી છું તેવું દર્શાવવા જ મેં મારાં ત્રણેય બાળકોને મારી નાખ્યા.”

મધુ હવે જેલમાં છે. મધુ ‘મા’ના નામ પર એક કલંક છે. કળીયુગ એની પરાકાષ્ટાએ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Be Sociable, Share!